અમદાવાદના નવા પો. કમિશનરે ચાર્જ સંભાળ્યો

અમદાવાદ: પ્રજાને પોલીસ પાસે ન આવવું પડે અને અમે એટલે કે પોલીસ પ્રજા પાસે જઈ તેમની તકલીફો સાંભળીએ અને દૂર કરીએ તેવો પ્રયત્ન રહેશે. સાયબર ક્રાઈમના ગુનાઓમાં વધારો થયો છે. ખાસ કરીને કોરોનાનાં સમયમાં આ ગુના વધી રહ્યા છે જેથી તેના ઉપર પણ વધુ ધ્યાન આપવામાં આવશે. સાથી અધિકારીઓ સાથે મળી અને ટીમવર્ક તરીકે કામ કરવામાં આવશે એવું અમદાવાદના નવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતુ.
પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝનોની સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવશે. સર્વ ટુ સિક્યોર એટલે કે સલામતી પૂરી પાડીએ. પોલીસ પ્રજાલક્ષી કામ કરી અને સલામતીનો અનુભવ કરાવે તેવી કામગીરી કરવામાં આવશે. પ્રજાને સાથે રાખી પોલીસ કામ કરશે. હાલમાં પ્રાથમિકતા કોરોના ઉપર રહેશે.
સરકારના દરેક વિભાગ કામ કરી રહ્યા છે તેમની સાથે પોલીસ ખભેખભો મિલાવી કામ કરશે. પ્રજાની સાથે રહી પોલીસ અધિકારીઓ ટીમવર્ક કરીને કામ કરશે તો અમદાવાદને સલામત શહેર બનાવી શકાશે.શહેરના શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું સ્વાગત કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ જેસીપી અમિત વિશ્ર્વકર્માએ સૌથી પહેલા સ્વાગત કરી આવકાર્યા હતા. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તેઓ મળ્યા હતા.
