કાલાવડમાં RSSના પીઢ કાર્યકર પર 2 શખ્સનો હુમલો

- અહીં કેમ સિગારેટ પીવે છે તેમ કહેતા બંને વિફર્યા
- DySP દોડી ગયા. બંનેની ધરપકડ
કાલાવડમાં વસવાટ કરતા અને વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા ભાનુભાઈ પરસોતમભાઈ પટેલ (ભાનુ અદા)શનિવારે રાત્રીના નવેક વાગ્યે કાલાવડમાં ડો. ગોહિલના દવાખાના પાસે મેદાન નજીકથી પસાર થતા હતા ત્યારે તે મેદાનમાં કાલાવડના આસીફ બાવા અને સિરાજ સંધિ સિગારેટ પીતા હતા. આથી ભાના અદાઓ તમે અહીં શા માટે બેસીને સિગારેટ પીએ છે તેમ કહી જતા રહેવાનું કહેતા બંને શખ્સો ઉશ્કેરાયા હતા અને ભાનુ અદાને ગાળો ભાંડી ધક્કો મારી પછાડી દઇ તેમના પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતા લોકો દોડી આવ્યા હતા.
ગાંધીનગર સુધી પડઘા
આર.એસ.એસ. સાથે જોડાઈને વર્ષો સુધી લોકસેવાના કામ કરનાર ભાનુ અદા પર હુમલાના અહેવાલ વહેતા થતાં તંગદિલી સાથે દોડધામ મચી હતી. બનાવના ગાંધીનગર સુધી પડઘા પડતા ગ્રામ્ય ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. બનાવ અંગે કાલાવડના તરુણભાઈ નરોતમદાસ ચૌહાણે ફરિયાદ નોંધાવતા પોલીસે આસીફ તથા સીરાઝ સામે ગુનો નોંધી કલાકોમાં બંનેની ધરપકડ કરી હતી.
જામનગરમાં VHPએ આવેદનપત્ર પાઠવ્યું
કાલાવડ પર આરએસએસના પીઠ કાર્યકર ભાનુઅદા પર બે શખ્સોએ કરેલા હુમલાના જિલ્લાભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે ત્યારે સોમવારે જામનગરમાં વીએચપી બનાવને વખોડી કલેકટરને આવેદન પાઠવ્યું હતું. જેમાં જે હુમલાનો બનાવ બન્યો છે તે હિન્દુ રાષ્ટ્ર અને વિચારધારા પર થવાનું જણાવી બનાવની તટસ્થ તપાસ કરી આરોપી સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે.
– રોહિત મેરાણી (જામનગર)
