ગાગવાધારમાં કાકાજી સસરાએ મરવા મજબૂર કર્યો

- મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર બાદ મેઘપર પોલીસ દોડી જતાં મામલો થાળે પડયો છે
ગાગવાધારમાં રબારી પાડા વિસ્તારમાં રહેતા બાબુભાઈ હીરાભાઈ વાઘેલા (ઉ.વ.૩૪) નામના યુવકે ઘરે રાત્રે ઝેરી દવા ગટગટાવી લેતા ગંભીર હાલતમાં સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજયુ હતું. મૃતકના તેના કાકાજી સસરા એ ફાઇનાન્સમાંથી ડમ્પર લીધા બાદ જામીન તરીકે રાખી હપ્તા નહીં ભરી મૃતકને દબાણ કરી ત્રાસ આપતા મૃતકે આ પગલું ભરી લીધું હોવાના આક્ષેપ લગાવી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા દોડધામ મચી હતી.
મેઘપર પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. જ્યાં સમજાવટ બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. બનાવમાં મૃતકના ભાઈ મનોજ ઉર્ફે મુન્નાભાઈ હીરાભાઈ વાઘેલાની ફરિયાદ પરથી મેઘપર પોલીસે કાકાજી સસરા રામાભાઇ વિરમભાઈ પરમાર અને જીગર વિરમભાઈ પરમાર સાથે આપઘાત દુગ્ધરા મામલે ગુનો નોંધ્યો છે. બંનેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.
– રોહિત મેરાણી (જામનગર)
