જામનગરથી બાલવા જતા કાર અકસ્માતમાં પત્નીનું મોત

- જામજોધપુર પંથકમાં ગોપ-ત્રણ પાટિયા રોડ પરની ઘટના
જામજોધપુર પંથકમાં ગોપ પાટીયાથી ત્રણ પાટીયા જતા રોડ પર કાર રોડ પરથી ઉતરી ઝાડ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં દંપતી ખંડિત થયું હતું. જેમાં કાર સવાર મહિલાઓને ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ નિપજયુ હતું. જ્યારે તેના પુત્રને ઇજા થતા તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જામનગરના દંપતી અને તેનો પુત્ર કારમાં બાલવા ગામે સગર્ભાને મળવા જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં જ આ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યુ હતું.
સગર્ભા પુત્રવધુને મળવા જતા દંપતી અને પુત્ર નડયો અકસ્માત
જામનગરમાં રાજકોટ રોડ પર રાજ પાર્ક વિસ્તારમાં રંગમતી સોસાયટી-૨ વિસ્તારમાં રહેતા પ્રવિણપુરી સોમપુરી ગોસાઇ નામના પ્રૌઢ પોતાની પત્ની અલ્કાબેન પ્રવિણપુરી અને તેનો પુત્ર દિવ્યેશ સહિત ત્રણેય પરિવારજનો ગત રવિવારે સવારે કારમાં જામનગરથી જામજોધપુર બાલવા પંથકમાં તેના સર્ગભા પુત્રવધુને મળવા માટે નીકળ્યા હતા જે વેળાએ કાર ગોપના પાટિયાથી ત્રણ પાટીયા રોડ પર પસાર થઇ રહી હતી. ત્યારે કારના ચાલકે કાબુ ગુમાવતા રોડ પરથી ઉતરી ઝાડ સાથે ધડાકાભેર ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં કારમાં રહેલા અલ્કાબેન (ઉ.વ.૪૭)ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ નિપજયું હતું. જયારે દિવ્યેશભાઈને પણ પેટ, નાક અને શરીરે ઈજા પહોંચતા તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના આ બનાવની જાણ થતા જામજોધપુર પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે અકસ્માત મામલે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
– રોહિત મેરાણી (જામનગર)
