મુખ્યમંત્રીએ નારાયણ માધુના પુસ્તક ‘દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ’નું વિમોચન
પ્રજાવત્સલ મહારાજાના શાસનકાળ દરમિયાનના પ્રજાલક્ષી કામો વિશે વિશેષ જાણકારી
વડોદરા,
વડોદરા ખાતે ફરજ બજાવી ચૂકેલા પ્રોટોકોલ અધિક કલેકટરશ્રી નારાયણ માધુ દ્વારા ‘દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ’ નામક પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં ગાંધીનગર ખાતે કર્યુ હતુ.
આ પુસ્તક મહારાજા સયાજીરાવના શાસનકાળ દરમિયાન તેમણે કરેલા પ્રજાલક્ષી કામો પર આધારિત છે ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અને આજથી ૧૧૦ વર્ષ પહેલા દાખલ કરવામાં આવેલા અસ્પૃશ્યતા નિવારણ માટેના પુષ્કળ પ્રયત્નો વિશેની વિગતો છે. આ ઉપરાંત મહારાજા સયાજીરાવે ઇ.સ.૧૯૦૮માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી હતી. મહર્ષિ અરવિંદ, આંબેડકર તથા મહાન ચિત્રકાર રાજા રવિ વર્માને પણ મહારાજા સયાજીરાવ વડોદરા લઈ આવ્યા હતા. વડોદરાની ખ્યાતનામ એમ.એસ.યુનિવર્સિટી, ન્યાયમંદિર, લક્ષ્મી વિલાસ પેલેસ જેવી ભવ્ય અને જાજરમાન ઈમારતો એમના સમયમાં આકાર પામી હતી. આ સિવાય મહારાજા સયાજીરાવે સમાજ સુધારણા અને તેમનો દૂરંદેશી તથા કુશળ વહીવટીસૂઝ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે અનેક પાસાઓ પર આ પુસ્તકમાં વિગતે કહેવામાં આવ્યું છે. ગુજરાતના લોકોને પ્રજાવત્સલ મહારાજા વિશે વધુ માહિતી અને જાણકારી મળી રહે તેવો પ્રયાસો પુસ્તક સ્વરૂપે ‘દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ’ માં ઉતારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કર્મનિષ્ઠ સરકારી ઉચ્ચાધિકારીશ્રી નારાયણ માધુ પોતાની સરકારી ફરજોમાં વ્યસ્ત હોવા છતાં સમય કાઢીને અનેકવિધ સમાજસેવા પ્રવૃત્તિઓ કરે છે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપે છે. તેઓ હાલમાં ઉચ્ચ શિક્ષણ વિભાગમાં ગાંધીનગર ખાતે સેવા આપી રહ્યા છે.