લોકડાઉનઃ પોલીસનો એક્શન પ્લાન,સોસાયટીને જરુર મુજબ પાસ ફાળવ્યા
અમદાવાદ,
શહેરમાં લોકો લોકડાઉન વચ્ચે પણ બહાર નીકળી રહ્યા છે. પોલીસે સોસાયટીના લોકો બહાર ન નીકળે તે માટે ચેરમેન અને સેક્રેટરી સાથે મિટિંગ કરી હતી. પણ રહીશો ચેરમેન કે સેક્રેટરીનું ન માનતા આખરે પોલીસે નવો કીમિયો અપનાવ્યો છે. પોલીસે સોસાયટીને જરૂર મુજબ પાસ ફાળવી દીધા છે. કોઈને કોઈ પણ વસ્તુ લેવા જવી હોય તો નક્કી કરેલા બે લોકો જ આ પાસ સાથે બહાર નીકળે તેવું આયોજન કર્યું છે. અને જા આ પાસ વગર કોઈ નીકળે તો પોલીસને જાણ કરાતા પોલીસ તે લોકો સામે કાર્યવાહી કરશે. મોનીટરીંગ પાસ ઇસ્યુ કરાતા જ હવે લોકો પોલીસને બહાના નહિ બતાવી શકે.
તસ્વીરમાં દેખાતા આ ટોકન પાસ પોલીસ તરફથી અપાઈ રહ્યા છે. લોકો બહાના કરીને બહાર નીકળતા હોવાથી નારણપુરા પોલીસને સોસાયટીના સેક્રેટરી અને ચેરમેન રજૂઆત કરવા આવ્યા હતા. પોલીસ ચોપડે નામ ન ચઢે અને કેવી રીતે લોકો લોકડાઉનનું પાલન કરે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે નારણપુરા પોલીસે અલગ જ એક તરકીબ અપનાવી અને સોસાયટીના લોકોને એક પાસ ઇસ્યુ કરી આપ્યા છે. ૨૦ મકાન એક સોસાયટી કે ફ્લેટમાં હોય તો એક પાસ, ૨૫થી ૫૦ મકાન હોય તો બે પાસ અને તેનાથી વધુ મકાન હોય તો ત્રણ ચાર પાસ પીઆઈની સહી અને પોલીસસ્ટેશનના સિક્કા મારીને આપવામાં આવ્યા છે.
નારણપુરા પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે આર પટેલ એ જણાવ્યું કે થોડા દિવસોથી લોકડાઉન જાહેર કરાયું પણ અનેક સોસાયટીમાં ચેરમેન સેક્રેટરી લોકોને બહાર ન જવા કહે તો લોકો ઘર્ષણ કરતા અને જેથી નારણપુરા વિસ્તારની સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ પોલીસને મળ્યા હતા. લોકોની સાથે ચર્ચા કર્યા બાદ પોલીસે આ ટોકન પાસ સિસ્ટમ અપનાવી છે. લોકોમાં કોનટામીનેશન અટકે લોકો એકબીજાથી દૂર રહે તેવા સૂચનોની અમલવારી થાય તે હેતુથી આ સિસ્ટમ ઉભી કરાઈ છે.