આત્માથી પરમાત્માની ઓળખ
હું તને શોધું ને મળવું ખુદને,
એક એવો બનાવ આપી દે.
– લક્ષ્મી ડોબરીયા.
કવિયત્રીના શબ્દો ઈશ્વરને શોધતાં-શોધતાં સમગ્ર સંસારમાં ફટાફટ ફરતાં ફરતાં જ્યારે મનુષ્ય થાકીને શાંતિથી એક ખૂણામાં બેસી જાય ,આંખો બંધ કરીને પરમાત્માને યાદ કરે, સાદ કરે છે તે સમયે સમગ્ર ચિત્ત્ત,શરીર ,મન,પ્રાણ, દિશા અને વિચાર ઈશ્વરપ્રાપ્તિનો જ હોય છે. જ્યારે કોઈપણ કાર્યમાં સમગ્રતા,સરળતા ,સહજતા ભળે છે ત્યારે તે કાર્ય જરૂર પૂર્ણ થાય છે .જરૂરથી મનુષ્યને તેના એકાંતના સમયે પરમાત્માની અસર થાય છે. અહેસાસ, શાંતિનો અનુભવ થાય છે.
આપણે ભક્તિ કરીએ છીએ પણ વસ્તુ કે વ્યક્તિમાં આપણો પ્રેમ ઢોળાઈ ગયો છે. આપણે એમ કહીએ છીએ કે જીવનમાં પરિવર્તન થતું નથી.પણ કોણ રોકે છે ?આપણો પ્રેમ સ્થુળ વસ્તુઓમાં જોડાયેલો છે પછી ક્યાંથી પરમાત્માની પ્રાપ્તિ થાય?
“હરિ આપતાં અઢળક મારા ખોબામાં છે કાણું “
હા, આ જ રીતે આપણે ખોબામાં દ્વેષ, દુર્ભાવ ,અહંકાર ,માયા ,સ્વાર્થ ,કપટ જેવા ઘણાં કાણાં સાથે લઈને આપણે પરમાત્માની પ્રાપ્તિ કરવા તલપાપડ બની છીએ તો ક્યાંથી પરમાત્મા પ્રાપ્ત થાય? આ સૃષ્ટિનો સર્જનહાર સર્વ ભૂત હૃદયનો ભગવાન કહેવાય છે. તેમાં પ્રેમ નથી તો ઢોળાયો ત્યાં સુધી ક્યાંથી ઈશ્વર પ્રાપ્તિ થાય? આપણાંમાં જ્યાં સુધી વાસના રહેશે ત્યાં સુધી ભક્તિમાં સાર નહી આવે.
આત્મા પરમાત્મામાં જાય, એનું નામ પરમાર્થ કહેવાય. પરમાર્થ સાધવો હોય તેણે, પ્રથમ આ લોકની વાસનાની ઇચ્છા વગરના થવું જોઈએ. આ લોકમાં પૂર્વ પ્રારબ્ધ ના યોગો ભગવાનને મેળવ્યા છે એટલા ઘણા છે.પણ મારે હવે એક જ જોઈએ છે કે, મારામાં જે આત્મા (ચેતનહંસ )છે તેનું ઘર પરમાત્મા છે.આવી માયલી વૃત્તિ જો હોય, તેવા ભક્તોને પરમાત્મા ની પ્રાપ્તિ થાય છે. એવા ભક્તો,જે જીવના શિવ,નરના નારાયણ અને પુરુષ ના પુરુષોત્તમ થઈ ગયા છે, જે આપણે જાણીએ છીએ.
એવું માની લેવાની જરૂર નથી કે, આ તાકાત આ ભક્તોમાં ક્યાંક બહારથી આવી હશે કે કંઈક ચમત્કાર થયો હશે.ભક્તોને પણ ઘણાં કષ્ટો પડ્યાં છે અને ભક્તોનાં ઘણાં પારખાં પણ થયા છે. પછી જ તેમને ભગવાન ની પ્રાપ્તિ થઈ છે. આવાં ભક્તો એ તેમની વૃત્તિ વાળી ને નિજસ્વરુપ ભગવાનની સાથે જોડાણ કર્યું છે. આપણાં અંતરમાં જેવો આત્મા છે, તેવો પ્રાણી માત્ર માં છે,તેવું સમજ્યાં છે. આપણે આવા ભક્તોનાં ભજનો ગાઈએ છીએ ત્યારે આપણાં અંદર એક અલગ જ પ્રકારની શાંતિ ઉત્પન્ન થાય છે.
ધર્મરાજા ને યાદ કરીએ તો થાય કે,,આ હા હા હા,,! આટલાં પરિષદો માં પણ વૃત્તિ ડગવા નથી દીધી.ગંગા સતી નું,
‘ મેરું તો ડગે પણ જેનાં મન ના ડગે , ભલે ભાંગી પડે બ્રહ્માંડ રે ‘
એમને ક્યાં રાજપાટ અને ગાદીઓ હતી?પણ પરિષદો વધારે પડ્યાં. ગંગાસતીનો પુત્ર જેસલ જેવો હતો, જેથી તે વધારે દુભાયેલાં હતાં. એ પુત્રવધૂ તે પાનબાઈ. પાનબાઈથી એમને વૈરાગ્ય વરતાતો હતો.ગંગાસતીમાં ભક્તિ પ્રથમથી જ હતી.પુત્ર સંતો આગળ માંગણી કરીને લીધો હતો. પુત્ર આમના વૈરાગ્ય માટે જ જન્મ્યો હોય એવો દુષ્ટ સ્વભાવનો નીકળ્યો. પુત્ર ગંગાસતી અને પાનબાઈ ને એટલો બધો દુભવવાં મંડ્યો કે, બંનેને વૈરાગ્ય આવી ગયો અને ભગવાન ની ભક્તિ વધવા માંડી.
અંતરમાંથી પોકાર પાડે છે! , ‘હે પરમાત્મા! અમારો પોકાર તુ જ સાંભળે એવો છે,આ જીવન માં ભક્તિ કરતાં કરતાં માંગીને લીધું ત્યારે ઝેર નીકળ્યું.
આ સંસારમાં ક્યાંય સુખ નથી.’
તે બંનેને સાચા મનથી ભક્તિ લાગી.અને આજે આપણે તેમને યાદ કરીએ છીએ.
આત્મા થી પરમાત્મા સુધીની સફર કરનારાં કેટલાયે વિરલાંઓ છે. પણ ટૂંકમાં હું એટલું જ કહેવા માગું છું કે,
અંતે ઈશ્વર તો આપણાં હ્રદય માં અને સૌનાં હ્રદય માં જ બિરાજમાન છે.
– જાગૃતિબેન પંડ્યા (આણંદ)