જામનગરમાં કોરોના સામે લડવા માટે હોસ્પિટલમાં 700 બેડ તૈયાર
જામનગરમાં દરેડમાં 14 માસના બાળકને કોરોના પોઝીટવ નીકળ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા મીટીંગોનો દૌર શ થઇ ચૂક્યો છે. સાવચેતીના પગલા જી.જી. હોસ્પિટલમાં 700 બેડની ક્ષમતાવાળો અલગ વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે. ગઇકાલે દરેડમાં પોઝીટીવ કેસ નીકળ્યા બાદ જી.જી.હોસ્પિટલના ડોકટરોએ પણ સારી એવી જહેમત ઉઠાવી છે. ડીન ડૉ. નંદિની દેસાઈ, અધિક્ષક નંદિની બહાર, નોડલ ઓફિસર ડો. એસ.એસ.ચેટર્જી, ડો. દિપક તિવારી, ડો. મનીષ મહેતા સહિતના સિનીયર ડોકટરોએ જહેમત ઉઠાવીને તાત્કાલિક અસરથી 700 બેડનો નવો વિભાગ આજે તૈયાર થઈ ચૂક્યો છે. પરિસ્થિતિ વધુ બગડે તો આ હોસ્પિટલનો ઉપયોગ કરી શકાશે. આમ એક કેસ નીકળતા તંત્ર દ્વારા ઈમરજન્સી પગલા લેવામાં આવી રહ્યા છે.
જામનગરમાં અગાઉથી 28 બેડ અને 56 બેડના બે આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવામાં આવ્યા છે, પરંતુ હવે સ્થિતિ એ થઈ છે કે દરેડમાં વધુ લોકોને કવોરનટાઈન કરવામાં આવે છે ત્યારે ઘણાં બધા લોકોના ટેસ્ટ કરવામાં આવશે. તેથી તંત્રએ પારોઠના પગલે 700 બેડની નવો વિભાગ તૈયાર કરાયો છે ત્યારે આજથી તે કાર્યરત થઇ જશે. જી.જી. હોસ્પિટલમાં હાલમાં દરરોજના 30થી વધુ સેમ્પલો ચેક કરવાની ક્ષમતા છે ત્યારે રાજકોટમાં તાજેતરમાં કોરોના શંકાસ્પદ દર્દીના સેમ્પલ ચેક કરવાની લેબોરેટરી શરૂ થઇ છે ત્યારે જામનગરમાં ડોકટરોને થોડી રાહત થઈ છે.
જાણવા મળતી માહિતી મુજબ જી.જી.હોસ્પિટલમાં ઈમરજન્સી સિવાય તમામ ઓપરેશન રદ કરી દેવામાં આવે છે અને એટલું જ નહીં મેડીકલ સ્ટાફ તથા નર્સિંગ સ્ટાફ પણ રજા પણ રદ કરી દેવામાં આવી છે. એક તરફ ઈમરજન્સી મીટીંગનો દૌર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે હજુ પણ આકરા પગલા લેવામાં આવશે. હોસ્પિટલના ડોકટરો સતત ખડે પગે સેવા આપી રહ્યા છે ત્યારે આ 700 બેડની નવી વ્યવસ્થાથી દર્દીઓને રાહત થશે.
– રોહિત આર. મેરાણી (જામનગર)