જિલ્લા કલેકટર શ્રી સી.જે.પટેલે સેનિટાઇઝર સ્પ્રેનું નિરીક્ષણ કરી હિંમતનગર સિવિલ હોસ્પિટલને અપર્ણ કર્યું
- પ્રાંતિજના યુવાન મયુર પંચાલે ૧૨ કલાકમાં સેનિટાઇઝર સ્પ્રે તૈયારી કરી નાગરીકોને સુરક્ષા કવચ આપતું સાધન તૈયાર કર્યુ
સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો કેસ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જ નોંધાતા જિલ્લા આરોગ્ય અને વહિવટીતંત્ર સજજ બની ગયું છે ત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ તેમજ તેમના સ્વજનોની આરોગ્યની દરકાર કાજે પ્રાંતિજના એક યુવાને સ્વખર્ચે સેનિટાઇઝર સ્પ્રે કક્ષ તૈયાર કરી સિવિલ હોસ્પિટલને અપર્ણ કર્યુ હતું. પ્રાંતિજ તાલુકાના સલાલ ગામનો મયુર પંચાલ ધોરણ-૧૨ સુધીજ અભ્યાસ કરેલ છે વ્યવસાયે જનરેટર બનાવવાનું અને ભાડે આપવાનું કામ કરતા મયુરની ગજબની કોઠાસૂઝથી લોકપયોગી સાધનો બનાવી કાયમ મદદરૂપ થાય છે.
કપરા સમયની આ ઘડીમાં કોરોનાને નાથવા માત્ર ૧૨ કલાકમાં જ સેનિટાઇઝર સ્પ્રે બનાવી ઇનોવેશન આઇડીયાનું ઉત્તમ ઉદાહરણ મયુર પંચાલે પુરૂ પાડ્યું છે. હાલ સમગ્ર વિશ્વ કોરોનાના મહામારી સામે જંગ લડી રહ્યુ છે ત્યારે મહાનગર કક્ષાએ તો નાગરીકો કે દર્દીઓને જરૂરી સાધનો મળી રહે પરંતુ સાબરકાંઠા જિલ્લામાં અંતરીયાળ વિસ્તારમાંથી સિવિલમાં આવતા દર્દીઓ અને સગાઓઓ સેનિટાઇઝેશન કરવાની ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ અંગે વિગત આપતા મયુર પંચાલ જણાવે છે કે, લોખંડની એંગલ અને પ્લાસ્ટીકની (ફાઇબર) પ્લેટથી આ સેનિટાઇઝર કક્ષ તૈયાર કરવામાં આવ્યો છે.
બે દરવાજા ધરાવતા આ કક્ષની લાક્ષણિકતા એ છે કે તેને ગમે તે સ્થળે આસાનીથી હેરાફેરી કરી શકાય છે. આ સેનિટાઇઝર સ્પ્રેમાં સોડિયમ હાઇપો કલોરાઇડ અને આલ્કોહોલ લિક્વીડ જરૂરીયાત માત્રામાં રાખવામાં આવે છે. ફુવારા સિસ્ટમમાં માણસ આ કક્ષમાં પસાર થાય ત્યારે સમગ્ર માનવ શરીર પર ૨૦ સેંકડ સુધી સ્પ્રેનો છંટકાવ થાય છે. અને વ્યક્તિ સેનેટાઇઝ થઇ જાય છે. અંદાજે ૩૦ હજારના ખર્ચે તૈયાર થતો આ સેનિટાઇઝર કક્ષ લોકોના આરોગ્ય માટે સુખાકારીરૂપ છે.
આ સેનિટાઇઝર સ્પ્રેનું જિલ્લા કલેકટર શ્રી સી.જે. પટેલે નિરીક્ષણ કરી આ બંને યુવાનોને સેનિટાઇઝેશન સ્પ્રે બનાવવા બદલ અભિનંદન આપી બિરદાવ્યા હતા. આ સેનિટાઇઝર સ્પ્રે હાલના સમયે જરૂરીયાત એવા સિવિલ હોસ્પિટલને અપર્ણ કર્યું હતું. જેમાં સિવિલમાં આવતા દર્દીઓ તેમજ તબીબો અને મેડિકલ સ્ટાફ તેમજ ૧૦૮ મારફતે આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.