ભૂપેન્દ્ર સિંહ અને ધવલ જાની વચ્ચે મેલી સાંઠગાંઠ હાઈકોર્ટે લીધો ઉધડો
કાયદા અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ અને ચૂંટણી અધિકારી ધવલ જાની વચ્ચે મેલી સાંઠગાંઠ હોવાની આકરી ટીકા કરી હાઇકોર્ટે નોંધ્યું છે કે જ્યારે આ બન્ને પક્ષકારોને પૂછવામાં આવ્યું કે મતપેટીમાં આવેલા મતોની કોર્ટ સમક્ષ પુનઃગણતરી થવી જોઇએ કે નહીં, ત્યારે બનેએ કહ્યું હતું કે કોર્ટ સમક્ષ પુનઃગણતરી ન થવી જોઇએ. ભૂપેન્દ્રસિંહ આવો જવાબ આપે તે સ્વાભાવિક છે કારણ કે તેઓ વિજેતા ઉમેદવાર છે, પરંતુ ચૂંટણી અધિકારી પણ શા માટે ના કહી રહ્યા છે? આ બાબત દર્શાવે છે કે બન્ને વચ્ચે મેલી અને અશુદ્ધ સાંઠગાંઠ હતી. આ મેલી સાંઠગાંઠ અંતે ચૂંટણી વિજયમાં પરિણમી હતી.
ચૂડાસમાના અંગત સચિવ અનઅધિકૃત રીતે કેન્દ્રમાં પહોંચ્યા હતા
મતગણતરી કેન્દ્રમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધિક અંગત સચિવ મહેતાએ અનધિકૃત રીતે પ્રવેશ મેળવ્યો હતો. એડિશનલ કલેક્ટર કક્ષાના આ અધિક અંગત સચિવને મતગણતરી સાથે કોઇ લેવાદેવા ન હોવા છતાં તેઓ અનધિકૃત રીકે મતગણતરી કેન્દ્રમાં આવ્યા હતા અને ધવલ જાનીએ તેમનું સ્વાગત પણ કર્યુ હતું.તેઓ કોઇ જાતની પરવાનગી વિના કાઉન્ટિંગ હોલમાં આટાફેરા કરતા હતા. સી.સી.ટી.વી. ફૂટેજમાં જોઇ શકાય છે કે તેઓ ધવલ જાનીની બાજુમાં ખુરશી રાખી બેઠા હતા.
સમગ્ર ઘટનાનું ચિત્રાંકન
તેમણે અન્ય એક વ્યક્તિ પાસે આઇ.ડી. કાર્ડની દોરી માગી અને દોરી ગળામાં પહેરી તેનો છેડો ખિસ્સામાં સરકાવી દીધો. જેથી જોનારા વ્યક્તિને એમ લાગે કે તમનું આઇ.ડી. કાર્ડ ખિસ્સામાં છે, પરંતુ તેમની પાસે કોઇ આઇ.ડી. કાર્ડ હતું જ નહીં. મતગણતરી કેન્દ્રની અંદર તેઓ આવ-જા કરતા હતા ઉપરાંત તેઓ સતત કોઇને ફોન કરી વાતચીત કરી રહ્યા હતા. અહીં ફોનના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં તેઓ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા. મતપેટીના મતોની ગણતરીનો સમય સંવેદનશીલ અને નાજુક હોય છે, આ સમયે કોઇ અનધિકૃત વ્યકિતને પ્રવેશ આપી નિયમોનો ભંગ કરવો એ ભ્રષ્ટ આચરણ છે.
ઋણ ચુકવ્યાનો આરોપ
હાઇકોર્ટે નોંધ્યું છે કે ભૂપેન્દ્રસિંહ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે મહેસૂલ પ્રધાન હતા. ધવલ જાનીએ ભૂપેન્દ્રસિંહને ચૂંટણીમાં તેમજ કોર્ટ કેસ દરમિયાન પણ મદદ કરી તેમને ઋણી બનાવ્યા હતા. ચૂંટણી જીત્યા બાદ ભૂપેન્દ્રસિંહ ફરી પ્રધાન બની શિક્ષણ, કાયદો, સંસદીય બાબતો તેમજ એવિએશન વિભાગના પ્રધાન છે. પ્રધાન બન્યા બાદ ઋણ ચૂકવવાનો ભૂપેન્દ્રસિંહનો વારો હતો. તે સમયે ધવલ જાનીનું ડેપ્યુટી કલેક્ટરમાંથી એડિશનલ કલેક્ટર તરીકેનું પ્રમોશન પાઇપ લાઇનમાં હતું.
આ સમય દરમિયાન 29-3-2019ના રોજ ચૂંટણી પંચે રાજ્ય સરકારના મુખ્ય સચિવને આદેશ કર્યો હતો કે ચૂંટમીમાં ગેરરીતિ બદલ ધવલ જાની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને તેમને આકરો દંડ પણ કરવામાં આવે. આ આદેશ છતાં 9-10-2019ના રોજ રાજ્ય સરકારે ધવલ જાનીને એડિશનલ કલેક્ટર તરીકે પ્રમોશન આપ્યું હતું. અરજદાર દ્વારા 4-3-2020ના રોજ ફરિયાદ કરવામાં આવી હતી કે શિક્ષાત્મક કાર્યવાહીના આદેશ છતાં તેમને પ્રમોશન આપવમાં આવ્યું છે. આ ફરિયાદના કારણે રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ એટલી જ રજૂઆત કરી હતી કે તેમનું પ્રમોશન પાછું ખેંચવામાં આવ્યું છે. જો કે ત્યારે પણ રાજ્ય સરકારે ચૂંટણી અધિકારી સામેની શિક્ષાત્મક કાર્યવાહી કે પછી ચૂંટણી પંચના આદેશોનું શું થયું તે અંગે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી.