અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના ૧ હજાર લાભાર્થીઓને “કિચન ગાર્ડન” માંથી કરાયું શાકભાજીનું વિતરણ
રાજપીપલા,
હાલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ના સંક્રમણની મહામારી ચાલી રહી છે. ત્યારે જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ લોકોને સરળતાથી મળી રહે તે હેતુસર નર્મદા જિલ્લામાં કાર્યરત અદાણી ફાઉન્ડેશન દ્વારા સુ-પોષણ પ્રોજેક્ટ અંતર્ગત ૧ હજાર જેટલા લાભાર્થીઓને ઉનાળુ શાકભાજી કીટનું વિતરણ કરાયું હતું.
અદાણી ફાઉન્ડેશન દ્વારા સુ-પોષણ પ્રોજેક્ટ અંતર્ગત ધાત્રી અને સગર્ભા માતાઓ, કિશોરીઓ અને કુપોષિત બાળકો તેમજ જરૂરીયાતવાળા પરિવારોને લોકડાઉનના સમયમાં શાકભાજી મળી રહે તે માટે પોતાના ઘરના વાડામાં જ “કિચન ગાર્ડન” ઉભા કરીને તાલીમ અને માર્ગદર્શન થકી ફેબ્રુઆરી માસમાં ૧ હજાર જેટલા લાભાર્થીઓને સુપોષણ સંગીની બહેનો દ્વારા તાંદળજા અને પાલકની ભાજી, ગુવાર, ભીડા ચોળી અને સરગવાના બિયારણનું વિતરણ કરાયું હતું. એક કુટુંબને આશરે ૧ હજાર થી ૧૨૦૦ રૂપિયા જેટલી આર્થિક બચત થઇ રહી છે તેમજ લોકડાઉનના સમયમાં ઘરે બેઠા પૈસા ખર્ચ કર્યા વિના પોતાના ઘર આંગણે જ તાજી અને પોષણયુક્ત શાકભાજી મેળવી રહ્યા છે. અદાણી ફાઉન્ડેશનની બહેનો દ્વારા પોતાના ગામોમાં ભાજીઓમાંથી વિવિધ વાનગીઓ બનાવવાની સમજ, કોરોના મહામારીમાં રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધે જેથી ચેપ ના લાગે અને પોતાનું રક્ષણ થઇ શકે તેની સમજ અને માર્ગદર્શન પણ પુરૂં પાડી રહી છે.