પાલનપુર એસ.ટી. ડિવીઝન દ્વારા ૮૯ શીડ્યુલ બસોની મુસાફરો માટે વ્યાપક વ્યવસ્થા કરાઇ
- કોરોના વિશે લોકો હવે જાગૃતિપૂર્વક કાળજી રાખીને બસોમાં મુસાફરી કરે છે
પાલનપુર,
કોરોના વાયરસ વિશે હવે દેશભરમાં લોકોની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. હાથ મિલાવવાને બદલે લોકો હવે નમસ્તે મુદ્રામાં બે હાથ જોડીને અભિવાદન કરતા તથા સલામત ડિસ્ટન્સ ઉપર ઉભેલા જોવા મળે છે. માસ્ક તો જાણે જીવન જરૂરીયાતની મહત્વની એક વસ્તુ હોય તેમ દરેક વ્યક્તિના મોં ઉપર માસ્ક જોવા મળે છે. ગામડાઓ અને છેવાડાના વિસ્તારો સુધી આ જાગૃતિનો વ્યાપ વધ્યો છે.
સરકારશ્રી દ્વારા એસ.ટી. બસ સેવાની પુનઃ શરૂઆત કરાતાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની પાલનપુર વિભાગીય કચેરી દ્વારા ૮૯ જેટલી શીડ્યુલ બસો ચાલુ કરવામાં આવી છે. એક બસમાં વધુમાં વધુ ૩૦ મુસાફરો પ્રવાસ કરી શકે છે. વર્તમાન સમયે સોશ્યલ ડિસ્ટન્સીંગ જરૂરી હોવાથી આ વ્યવસ્થા મુસાફરો અને નિગમને ઉપયોગી નિવડે છે. બસમાં મુસાફરી માટે ઇ-ટિકીટ, કાઉન્ટર બુકીંગ, એજન્ટ બુકીંગ, મોબાઇલ બુકીંગ તેમજ કન્ડકટર પાસેથી પણ મુસાફરોને ટિકીટ મળી શકે તેવી સરળ વ્યવસ્થા નિગમ દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
નિગમ દ્વારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, હિંમતનગર અને મહેસાણા ઝોનમાં સંચાલન કરવામાં આવે છે. નિગમ દ્વારા પેસેન્જરોનું થર્મલ ગનથી સ્ક્રીનીંગ, હાથને સેનેટાઇઝ, કરવા, મોંઢે માસ્ક બાંધેલુ હોવુ જરૂરી, બે મુસાફરો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને વ્યવસ્થા રાખવામાં આવે છે. પેસેન્જરોને આરોગ્ય સેતુ એપડાઉનલોડ કરાવવામાં આવે છે. તેમજ એક ટ્રીપ કર્યા પછી બસને સેનેટાઇઝ કરવામાં આવે છે.
સવારે- ૮.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી એસ.ટી. બસ સેવા કાર્યરત રહે છે. તા. ૨૧ મે ના રોજ પાલનપુર ડિવીઝનમાં ૩૪૬૪ મુસાફરોએ બસમાં પ્રવાસ કરી સુવિધાનો લાભ લીધો હતો.
એસ.ટી.નિગમ દ્વારા મુસાફરો માટે કરાયેલ વિશેષ વ્યવસ્થાની લોકો સરાહના કરે છે. આ અંગે પાલનપુર ખાતે પ્રતિભાવ આપતાં લોકોએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજય સરકારશ્રી દ્વારા કોરોના સંદર્ભે હાથ ધરાયેલ વિરાટ કામગીરી અને કાળજીભર્યા પ્રયાસોને લીધે રાજયમાં પૂર્વવત સ્થિતિ નિર્માણ થઇ રહી છે.
ઘરેથી નીકળતાં પહેલાં SMS ખાસ યાદ રાખીએ
ઘરેથી નીકળતાં પહેલાં SMSનું ફરજીયાત પાલન કરવું જોઇએ. SMS એટલે સેનિટાઇઝેશન, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીએ.