આજની ઈદ વિશિષ્ઠ છે
- અમે સહુના હિતમાં ઘરને મસ્જિદ બનાવીને નમાઝ પઢી છે અને બંદગી કરી છે : ફરીદ ભાઈ લાખાજીવાલા..
- મુસ્લિમ સમાજે લોક ડાઉન અને સોશીયલ ડિસ્ટન્સના નિયમો પાળીને સહુથી મોટા તહેવારની ઉજવણી કરી
વડોદરા,
કોરોના સંકટ વચ્ચે આવેલા સહુ થી મોટા તહેવાર એટલે કે રમજાન ઈદની આજે વડોદરા શહેર અને જિલ્લામાં શાંતિ અને ભાઇચારાના વાતાવરણમાં અને બહુધા સોશીયલ ડિસ્ટન્સ અને લોક ડાઉન ના નિયમો પાળીને મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ઘરમાં જ અને ઘરના સદસ્યો સાથે નમાજ અને બંદગી કરીને ઈદની ઉજવણી કરનારા નગરસેવક ફરીદ ભાઈ લાખાજીવાલા એ જણાવ્યું કે અમે ઘરને જ મસ્જિદ બનાવીને ઈદની બંદગી કરી છે.તાજેતરના વર્ષોમાં પ્રથમવાર આવું બન્યું છે. કોરોના ની મહામારી ફેલાતી અટકાવવા માટે અમે સરકારના નિયમોનું પાલન કર્યું છે અને લોક ડાઉન અને સોશીયલ ડિસ્ટન્સ ના નિયમોનું પાલન કર્યું છે.આજે કોઈ મસ્જિદમાં ગયું નથી.સહુ ઘરમાં જ રહ્યાં છે.
અમે ડોકટરો અને પોલીસ સહિત તમામ કોરોના વોરિયર ની સેવાઓને સલામ કરીએ છે એવી ભાવના સાથે એમણે જણાવ્યું કે અમે આજે નમાઝમાં આ બીમારીનો અલ્લાહ સત્વરે ખાત્મો કરે, બીમારો ની સાજગી થાય,સહુ નિરોગી અને સલામત રહે તથા આ રોગ થી જેમના મરણ થયાં છે એમની આત્મા ને શાંતિ મળે એ માટે દિલ થી પ્રાર્થના કરી છે. નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી હિમાંશુ પરીખના જણાવ્યા પ્રમાણે ડભોઇ નગરમાં પણ મુસ્લિમ બિરાદરોએ લોક ડાઉન ની શિસ્ત પાળીને,સોશીયલ ડિસ્ટન્સ જાળવીને ઘરમાં રહીને ઈદની ધાર્મિક પરંપરાઓનું પાલન કર્યું છે.આજે ઈદનો મોટો તહેવાર હોવા છતાં મસ્જિદો ખાલી જોવા મળી હતી.ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે મુસ્લિમ બિરાદરોને ઘરમાં રહી ઈદ ઉજવવા અપીલ કરી હતી અને પ્રાંત અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓએ સમાજના આગેવાનો સાથે આ બાબતમાં સંવાદ કરી સમજણ આપી હતી.
શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ઇદગાહ મેદાન અને મસ્જિદ આવેલી છે.સામાન્ય રીતે ઈદના દિવસે અહી હજારો મુસ્લિમ ભાવિકો નમાજ પઢવા એકત્ર થાય છે.જોકે આજે શહેર ખતીબ સાહેબ અને પોલીસ કમિશનર શ્રીની અપીલને માન આપીને અહીં કોઈ નમાજ પઢવા આવ્યું ન હતું. ખતીબ સાહેબે પોલીસ તંત્રની પરવાનગી પ્રમાણે 4 અનુયાયીઓ સાથે નમાજ અદા કરીને આ પવિત્ર સ્થળની પરંપરા જાળવી હતી.તાજેતરના વર્ષોમાં કદાચ પ્રથમવાર આવી ઘટના ઘટી હતી.
માહિતી ખાતામાં નાયબ માહિતી નિયામક તરીકે કાર્યરત યાકુબ ભાઈ ગાદીવાલા ખૂબ પાબંદ નમાઝી છે.તેઓ તાજેતરમાં જ કોરોના ની બીમારી થી મુક્ત થયાં છે અને અત્યારે ઘરના એક ખંડમાં સહુ થી અલગ રહી ઘર બંધી ના નિયમોનું ચુસ્ત પાલન કરી રહ્યાં છે.
એમણે પોતાની આ નાનકડી ઓરડીમાં રહીને જ ઈદની ધાર્મિક પરંપરાઓનું પાલન કર્યું હતું. એમણે જણાવ્યું કે પવિત્ર કુરાનમાં પણ કુદરતી કે અન્ય આફ્તો,ગંભીર માંદગી,શારીરિક અશક્તતા જેવા સમયે,સહુના હિતમાં મસ્જિદમાં ન જતાં ઘરમાં રહીને બંદગી કરવાની પરંપરાઓનું માર્ગદર્શન આપ્યું છે.આજે એને અનુસરીને ઈદની ઈબાદત કરી છે.કોરોના સામે તંત્ર અને લોકો કેટલી વ્યાપક લડાઇ લડી રહ્યાં છે એ મેં મારી સગી આંખે જોયું અને અનુભવ્યું છે. મેં આજે એ તમામ લડવૈયાઓ ને દુઆ મળે એવી પ્રાર્થના કરી છે અને સહુ લોક ડાઉન ના,સોશીયલ ડિસ્ટન્સ ના નિયમો પાળી આ લડાઇમાં સહયોગ આપે એવી મારી સહુને નમ્ર પ્રાર્થના છે.