મકાનમાલિકના ત્રાસ અને ધમકીથી કંટાળી પરિણીતાએ અભયમ મહિલા હેલ્પલાઈનનો આશરો લીધો
- નિ:સહાય પરિણીતાને ભાડા બાબતે હેરાન કરતા મકાન માલિકને સમજાવી અભયમે મામલો શાંત પાડ્યો
સુરત,
શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ મકાન ખાલી કરવા દબાણ અને હેરાન કરી રહેલા મકાન માલિક સામે રક્ષણ મેળવવા અભયમ હેલ્પલાઈન ટીમને મદદ કરવા વિનંતી કરી હતી. જેથી ઉમરા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી મકાન માલિક સાથે ચર્ચા કરી સમાધાન કરાવ્યું હતું.
વાત એમ છે કે, જહાંગીરપુરામાં રહેતા પુષ્પાબેનના પતિ કોઈ ગુનાસર કાચા કામના કેદી હેઠળ જેલમાં છે. જેથી તેઓની આર્થિક પરિસ્થિતિ ખુબ ખરાબ હોવાથી બાળકોનું કેવી રીતે ભરણ પોષણ કરવું તે પણ સમસ્યા છે. આવી કઠિન પરિસ્થિતિ વચ્ચે ઘણી વખત પરિણીતા અને તેના બાળકો ભૂખ્યા રહે છે. ઉપરાંત, હાલમાં ચાલી રહેલા કોરોના મહામારી અને લોકડાઉન કટોકટીના સમયમાં બહારનું કામ બંધ હોવાથી તેણી નાનુંમોટું કામ કરી ઘરની જવાબદારી પુરી કરતી રહી હતી. જેથી, આવા સંજોગોમાં તે પોતાના મકાનનું ભાડું ન ચૂકવી શકી ન હતી. પુષ્પાબહેને અભયમને જણાવ્યું હતું કે, મકાન માલિક ભાડું ચુકવવા અને ઘર ખાલી કરવા દબાણ કરે છે. જેથી મેં તેમને કામ શરૂ થાય પછી ભાડાની રકમ ચૂકવી આપવા જણાવ્યું હતું. પરંતુ મકાનમાલિક અને તેના પરિવાર મને મારવા આવી અત્યારે જ મકાન ખાલી કરો નહિતર સામાન સાથે અમને ફેંકી દેશે એવી ધમકી આપે છે. આ મુશ્કેલીભરી પરિસ્થિતિમાં અન્ય કોઈ ઉપાય ન રહેતા પરિણીતાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માંગી હતી.
મહિલા માટે સર્જાયેલી આ વિકટ સ્થિતિનું નિરાકરણ લાવવા અભયમ ટીમ મકાન માલિકને મળી હતી. અને તેઓને હાલની મહામારી અને પુષ્પાબેનને આ કફોડી હાલતમાં માનવતાના ધોરણે મકાનભાડા માટે થોડો સમય વધારે આપવા સમજાવ્યું હતું. જેથી મકાનમાલિક માની જતા સમગ્ર વાત શાંત પડી હતી.
આ ઉપરાંત, શહેરમાં જરૂરતમંદ પરિવારને ભોજન મળી રહે એ માટે કોઈ સેવાભાવી સંસ્થા દ્વારા સુવિધા આપવામાં આવે છે તેની માહિતી પરિણીતાને આપી હતી. પોતાના પરિવારને મુશ્કેલભરી પરિસ્થિતિમાંથી ઉગારવા અને રાહત પહોચાડવા બદલ પુષ્પાબહેને અભયમ ટીમનો ખુબ આભાર માન્યો હતો.