મુંબઇથી ભુજથી કંડલા વિમાનનું આગમન
ભુજ: વધતા જતા કોરોના વાઇરસના કેસો વચ્ચે થશે કે, નહીં થાય તેવી અટકળો વચ્ચે મુંબઇથી છ પેસેન્જર સાથે એર ઇન્ડિયાની ફલાઇટ સવારે ભુજ એરપોર્ટ પર આવી પહોંચી હતી અને નિર્ધારિત સમયે સાત પેસેન્જર સાથે મુંબઇ જવા રવાના પણ થઇ હતી જેને પગલે હવાઇ સફર ઇચ્છુક પેસેન્જરોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી. બીજી તરફ અમદાવાદથી કંડલા ફ્લાઇટે પણ આજે ઉતરાણ કર્યું હતું. જેમાં નવ પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે ૧૩ જણ અહીંથી અમદાવાદ ગયા હતા.
ગઇકાલ સુધી મંજૂરીની અનિશ્ર્ચિતતાના વાદળો જેના પર ઘેરાયેલાં હતાં તે એર ઇન્ડિયાની ફલાઇટને અંતે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મંજૂરી અપાતાં આજે ફ્લાઇટ ભુજ એરપોર્ટ પર આવી પહોંચી હતી. મુંબઇથી આમ તો અનેક લોકોએ ટિકિટ બૂક કરાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું, પરંતુ ફ્લાઇટ મંજૂરીની પ્રક્રિયામાં અટવાતાં અનેકે મુસાફરી રદ્દ કરાવી હતી અને માત્ર છ પેસેન્જર સાથે પ્લેને ભુજ એરપોર્ટના રન વે પર ઉતરાણ કર્યું હતું. આ જ પ્લેન ભુજથી પરત મુંબઇ નિશ્ચિત સમયે ઉપડયું હતું અને તેમાં પણ માત્ર સાત પેસેન્જર સવાર હતા.