ચીનના હુમલાનો ભારત દ્વારા જડબાતોડ જવાબ
- સંરક્ષણ પ્રધાને બેઠક યોજી
નવી દિલ્હી: ભારતીય સૈનિકો પર ચીનના સૈનિકોએ હુમલો કરતા સરહદ પર તંગદિલી વધી છે. ભારતીય સૈનિકોએ ચીનના સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દેશના ત્રણે સેનાના વડાની બેઠક બોલાવી હતી અને લદાખ પાસે સીમા પર વણસેલી પરિસ્થિતિની ચર્ચા કરી હતી. દરમિયાન, ભારત અને ચીન વચ્ચે સરહદ પર તંગદિલી વધતા બીજિંગે ભારતમાંના અંદાજે ૧.૪ લાખ ચીની નાગરિકોને સ્વદેશ પાછા બોલાવ્યા છે, જ્યારે ભારતના લશ્કરના વડા મનોજ મુકુંદ નરવણે
બુધવારે ટોચના કમાંડરોની સાથે બે દિવસની ખાસ બેઠક યોજવાના છે. લદાખમાં ભારત અને ચીની સેનાની વચ્ચે સરહદ પર તણાવ વધતો જઇ રહ્યો છે. પેંગોગ ત્સો નદીની પાસે તાજેતરના ટકરાવ દરમિયાન ચીની સૈનિકોએ અનૈતિક રીતનો ઉપયોગ કરી કાંટાળા તારવાળા ડંડા અને પથ્થરોથી ભારતીય સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. લદાખમાં નિયંત્રણ રેખા પર ચાલી રહેલા તનાવ તથા ભારતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં થઇ રહેલા વધારાને પગલે ચીને ભારતમાં રહેતા પોતાના તમામ નાગરિકોને પરત બોલાવવા માટે તજવીજ હાથ ધરી છે.
જોકે, ચીનથી ભારતીયોને પરત લાવવા માટે ભારતે હાલમાં કોઇ પગલાં નથી લીધાં. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદેશથી ભારતીયોને લાવવા માટે ૧૦ જૂન સુધીનો કાર્યક્રમ જાહેર થયો છે, જેમાં ચીન માટે કોઇ ઉડાન નથી. ભારતસ્થિત ચીનના દૂતાવાસે વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ, વેપારીઓ સહિત પોતાના નાગરિકોને પરત ફરવા માટે નોટિસ આપીને ૨૭ મે સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે. ભારતીય સેનાએ હિમાચલ અને ઉત્તરાખંડમાં પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. લદાખમાં ૮૦૦ કિ.મી.ની વિવાદિત સીમા પર પાંચ સેક્ટરમાં અવારનવાર બંને દેશઓ વચ્ચે તડાફડી થતી રહે છે.