આંતરરાષ્ટ્રીય કલા ઓનલાઇન પ્રદર્શન તા.૩૦ સુધી નિહાળી શકાશે
- પ્રદર્શનમાંથી વેચાયેલી કલાકૃતિમાંથી મળેલા પૈસા જરૂરિયાતમંદ કલાકારો અને કોરોના પીડિતોની સહાય માટે આપવામાં આવનાર છે
- ભારત સહિત નેપાળ, ઓસ્ટ્રેલિયા, બહેરિન, યુએસએ, ઇજિપ્ત, મિસ્ર સહિતના દેશ-વિદેશના ૧૦૦ કલાકારોની કલાકૃતિનો સમાવેશ
વડોદરા,
કોરોનાને લીધે સમગ્ર વિશ્વ ચિંતિત છે. તેવા સમયે જનસુરક્ષા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવશ્યક ન હોય ત્યાં સુધી લોકો બહાર નીકળતા નથી અને લોકો તેમના ઘરમાં રહે છે. ઘરે રહી રચનાત્મક કાર્યો કરી આંતરિક શક્તિઓને અનોખો માર્ગ આપી રહ્યા છે. વિવિધ કળાઓને રચનાત્મક શૈલીમાં ઢાળવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. કલાકારો સતત સર્જનાત્મક કાર્ય કરતા રહે છે. તેમની સર્જનાત્મકતાને અભિવ્યક્ત કરવા online – social media નું માધ્યમ હાલના સમયે શ્રેષ્ઠ સાબિત થયું છે. સોશિયલ ડિસ્ટન્સીંગ થી સેફટીના હેતુ સાથે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ ઘણું ઉપયોગી સાબિત થયું છે. આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શન તા.૨૭ થી Online “Endless Journey” પ્રદર્શન શરૂ થયુ છે જે આગામી તા.૩૦ મે-૨૦૨૦ સુધી Facebook Page- https://www.facebook.com/Endless-Journey-107332584325164/ પર જોઇ શકાશે. આ પ્રદર્શનમાં ભારતના પ્રખ્યાત અને વરિષ્ઠ કલાકારો હિંમત શાહ, જતીન દાસ, જય કૃષ્ણ અગ્રવાલની સાથે કલા ગૌરવ પુરસ્કાર વિજેતા કૃષ્ણ પડિયા (વડોદરા-ગુજરાત રાજય) ને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રદર્શનનું ઉદ્ઘાટન બિહાર રાજયના મુખ્ય સચિવ અને મુખ્ય સલાહકાર અંજની કુમારસિંઘે કર્યુ હતુ.પટણાથી online આ પ્રદર્શનનું ઉદઘાટન કરતાં તેમે કહ્યું કે, કોરોનાના સમયગાળા દરમિયાન કલાકારો સહિત અનેક નાગરિકોને સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. કલાકારો પણ કામ કરી રહ્યા છે પરિસ્થિતિ એવી છે કે તેમના સર્જનને પ્રદર્શિત કરવાની યોગ્ય તક નથી મળી શકે તેમ. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લીધે “એન્ડલેસ જર્ની” પ્રદર્શન સોશિયલ ડિસ્ટન્સીંગ થી સેફટી સાથે પ્રવૃત્તિમય રહેવાની બાબતો માટે જાગૃત્તિની ભૂમિકા ભજવી રહ્યું છે. આ માધ્યમથી પ્રદર્શન થતાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોને તેમની કલાકૃતિ રજૂ કરવાની અને રસ ધરાવતાઓને તેને જોવાની તક મળે છે. આ નવીન પ્રયત્નને આગામી સમયમાં પણ યાદ રહે તેવો અનુકરણીય છે.
ખાસ વાત એ છે કે, અનિલ શર્મા (બેહરીન), શિલ્પકાર રાજેશ કુમાર, સ્નેહલતા અને મનાતી શર્મા (ભારત) સહિતનાઓએ આ પ્રદર્શનનું આયોજન કર્યુ હતુ. શિલ્પકાર રાજેશ કુમારે જણાવ્યું કે, આ આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનમાં ભારત ઉપરાંત નેપાળ, ઓસ્ટ્રેલિયા, બહેરિન, યુએસએ, ઇજિપ્ત, મિસ્ર સહિતના દેશ-વિદેશના ૧૦૦ કલાકારોની કલાકૃતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ પ્રદર્શનમાંથી વેચાયેલી કલાકૃતિમાંથી મળેલા પૈસા જરૂરિયાતમંદ કલાકારો અને કોરોના પીડિતોની સહાય માટે આપવામાં આવનાર છે.