આર.આર.રાવલે કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ગાંધીનગર તાલુકાના ગામોની રૂબરૂ મુલાકાત લીધી
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે કોરોના સંક્રમણ અંગે જાગૃત્તિ આપવા અને ગામની સાચી પરિસ્થિતિનો રૂબરૂ તાગ મેળવવાના ઉમદા આશયથી ગાંધીનગર તાલુકાના ૭૪ ગામોની મુલાકાત લીધી છે.
કોરોનાના સંક્રમણની વર્તમાન વિષયમ પરિસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જાગૃત્તિ આવે, કોરોના સામે લડવામાં ગ્રામજનોનો આત્મ વિશ્વાસ મજબૂત બને, કોરોનાના સંક્રમણમાંથી સલામત અને સુરક્ષિત રહેવા માટે જરૂરી ઉપાયની જાણકારી અને આદેશોની અમલવારી થાય છે કે કેમ ? તે માટે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલ દ્વારા ગાંધીનગર તાલુકાના તમામ ૭૪ ગામોની મુલાકાત લેવામાં આવી છે.
આ મુલાકાત દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કોરોના વાયરસની વિષય સ્થિતિમાં ગ્રામજનો, સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ અને ગામના હેલ્થ વર્કરોનો આત્મ વિશ્વાસ વધારવાના ઉમદા આશયથી તાલુકાના તમામ ગામોની મુલાકાત લીધી છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલ દ્વારા ગ્રામ્ય વિસ્તારની મુલાકાત દરમ્યાન ગામના સરપંચશ્રી, તલાટીશ્રી, અને કોરોના વોરિયર્સની મુલાકાત લેવી, ગામમાં લોકડાઉનની અમલવારી થાય છે કેમ ? ,આયુષ પધ્ધતિનો એટલે કે ગામે ઉકાળા વિતરણ, હોમિયોપેથીક દવાઓનું વિતરણ થાય છે કે કેમ ?, ગામમાં સેનિટાઇઝેશન થાય છે કેમ ? હાઉસ ટુ હાઉસ આરોગ્યની ટીમ દ્વારા સર્વે થાય છે કે કેમ ?, જેવી બાબતોની જાત માહિતી મેળવી સમીક્ષા કરી હતી. તે ઉપરાંત ગામમાં કેટલા વ્યક્તિ કોરન્ટાઇન થાય છે અને કોરોન્ટાઇન વિસ્તારની મુલાકાત પણ લીધી છે. તેમજ કોરોના પોઝિટીવ કેસ આવ્યા હોય તો તેવા ગામના વ્યક્તિ સાથે ટેલિફોનિક વાતચીતથી તેમની તબિયતના ખબરઅંતર પણ પૂછ્યા હતા.