જંગ જીતીશું જ : મોદી
- દેશનું અર્થતંત્ર દૃષ્ટાંતરૂપ બનશે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મોદી સરકાર-ટૂ’નું એક વર્ષ પૂરું થયું હોવાની ઉજવણી નિમિત્તે નાગરિકોને ખુલ્લો પત્ર લખીને કરતાં જણાવ્યું હતું કે કોરોના વાઈરસના રોગચાળા સામે ચાલતી લડત આપણે જરૂર જીતીશું. દેશ વધુ આત્મનિર્ભર બનશે અને આપણું અર્થતંત્ર વિશ્ર્વના અન્ય દેશ માટે દૃષ્ટાંતરૂપ બની જશે. રૂ. ૨૦ લાખ કરોડનું પૅકેજ દેશને આત્મનિર્ભર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ પૅકેજ દેશના અર્થતંત્રને મજબૂત બનાવવાનું દૃષ્ટાંત સ્થાપિત કરશે. સિટીઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટનો અમલ, બંધારણની કલમ ૩૭૦ રદ કરી, રામમંદિર વિવાદનો ઉકેલ, દેશના વિકાસનો માર્ગ મોકળો કરવા સહિત અમારી સરકારે અનેક ઐતિહાસિક નિર્ણય લીધા હતા જેને કારણે છેલ્લાં એક વર્ષમાં દેશે ઝડપથી પ્રગતિ કરી છે.