સાબરકાંઠા જિલ્લાના વધુ ૩ કોરોના દર્દીઓએ કોરોનાને માત આપી
- જિલ્લામાંથી કુલ ૭૯ દર્દીઓને કોરોના મુક્ત કર્યા
હિંમતનગર,
સરકારની આરોગ્ય સેવાઓ કોરોનાને માત આપવા માટે ખુબ જ સુદ્ર્ઢ છે. આ સેવાઓ થકી અનેક લોકો કોરોના મુક્ત બની ઘરે પરત ફરી રહ્યા છે બે માસની બાળકીથી લઈ ૮૦ વર્ષના વૃધ્ધા સુધી કોરોનાના દર્દીઓને કોરોના મુક્ત કરતી સાબરકાંઠાની તબીબી ટીમે વધુ ૩દર્દીઓને સાજા કર્યા. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ, મેડીસ્ટર હોસ્પિટલ તેમજ સમરસ હોસ્ટેલ ખાતે કોવિડ કેર સેન્ટર એમ ત્રણ જગ્યાએ કોરોનાની અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સારવારને અંતે ૭૯ દર્દી સારવાર લઈ ઘરે સાજા થઈ ગયા છે.
તા. ૨ જુન ના રોજ વધુ ત્રણ જેટલા દર્દી સાજા થયા જેમાં કોવિડ કેર સેન્ટરના ૧ દર્દી પોશીનાના સાલેરાના ૨૦ વર્ષિય યુવક મોતીભાઇ ગમાર અને જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ હિંમતનગર ખાતેથી અન્ય ૨ દર્દી ખેડબ્રહ્માના ૫૨ વર્ષિય બેગડિયા શંકરભાઇ તેમજ વડાલીના ૬૦ વર્ષિય ભીખાભાઇ ચૌહાણ સાજા થઈ ઘરે ગયા. જિલ્લામાંથી અત્યાર સુધીમાં કોરોનાના ૯૨ દર્દી નોંધાયા છે જેમાંથી ૭૯ દર્દી કોરોના મુક્ત થયા છે. હાલ ૧૦ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે જ્યારે ૩ કોરોના દર્દીના દુખદ અવસાન થયા હતા.