શું કોરોના પર સત્ય છુપાવી રહી છે સરકાર…? નિષ્ણાતોએ સર્વે પર ઉઠાવ્યા સવાલ
- ICMRના સર્વેમાં સાચી સ્થિતિ નથી દર્શાવાઈ
- સરકાર સચ્ચાઈ સ્વીકારે, જેથી લોકો સતર્ક થાય
- દેશ ઘણાં સમય પહેલા કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચી ગયો
નવી દિલ્હી : જીવલેણ કોરોના વાઈરસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા અનેક પગલા છતાં દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન ના હોવાના ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના દાવા ઉપર પણ હવે સવાલ ઉઠવા લાગ્યા છે. COVID-19નું કોમ્યુનિટી ટ્રાન્સમિશન ના હોવાને લઈને સીરો સર્વેના પરિણામોના આધારે ICMR દ્વારા કરવામાં આવેલા દાવાઓ પર નિષ્ણાંતોએ સવાલ ઉઠાવ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, હાલની સ્થિતિ ICMRના દાવાને સિદ્ધ નથી કરતી. જ્યારે સરકાર પણ સચ્ચાઈ સ્વીકાર કરવામાં જડ વલણ દર્શાવી રહી છે.
દેશના અનેક ભાગમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું હોવા પર ભાર મૂકતા નિષ્ણાંતોએ સરકારને કહ્યું કે, તે સચ્ચાઈ સ્વીકારે, જેથી લોકો બેદરકાર ના બને.
આ પણ વાંચો : રાહ જુઓ, જલ્દી PoKના લોકો ભારતમાં સામેલ થવા કહેશે : રાજનાથસિંહ
ICMRના ડિરેક્ટર બલરામ ભાર્ગવે ગુરૂવારે સર્વેના પરિણામો જાહેર કરતાં જણાવ્યું હતું કે, ભારતમાં હજુ સુધી કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો નથી આવ્યો. તેમના આ નિવેદન બાદ ચેપી રોગ, પબ્લિક હેલ્થ અને મેડિકલ સાયન્સ સાથે સંકળાયેલા નિષ્ણાંતોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સીરે સર્વે પ્રમાણે, 65 જિલ્લાના રિપોર્ટ મુજબ, 26400 લોકો પર કરવામાં આવેલા સર્વેમાં 0.73 ટકા લોકો અગાઉ સાર્સ-સીઓવી-2ની ઝપેટમાં આવી ચૂક્યાં છે.
શું હતું ખાસ સીરો સર્વેમાં?
→ કોરોના સંક્રમણને લઈને કરાયેલા વિશ્વમાં સૌથી મોટો સર્વે
→ કોરોના સંક્રમણને લઈને દેશના 83 જિલ્લાઓમાં કરાયો સર્વે
→ ભારતમાં હજું કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થયું
→ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતની સ્થિતિ ઘણી સારી
→ લૉકડાઉન લાગૂ કરવા સહિતના સરકારના પગલા કોરોના સંક્રમણને ફેલાતો રોકવામાં સફળ
→ દેશની વસ્તીના મોટા ભાગને કોરોના સંક્રમણનું જોખમ વધુ
એઈમ્સના પૂર્વ ડિરેક્ટર ડૉ એમ સી મિશ્રાએ જણાવ્યું કે, “એમાં કોઈ શંકા નથી કે દેશના અનેક ભાગમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું છે. મોટાપાયે લોકોના પલાયન અને લૉકડાઉનમાં મળેલી છૂટથી તેમા વૃદ્ધિ આવી અને આ બીમારી એવા વિસ્તારોમાં પણ ફેલાઈ જ્યાં રહેલા કોઈ કેસ નહતા. સરકારે આવા સમયે આગળ આવીને સચ્ચાઈ સ્વીકારી લેવી જોઈએ. જેથી લોકો વધુ સતર્ક થઈ જાય અને બેદરકારી ના દાખવે.”
ICMRના સીરો સર્વેક્ષણ વિશે તેમણે જણાવ્યું કે, સંક્રમણના પ્રસારનો કયાસ કાઢવા માટે દેશની મોટી વસ્તી અને વિવિધતાને ધ્યાનમાં રાખીને 26,400 લોકોના સેમ્પલ લેવા અપૂરતા છે. ચેપી રોગ નિષ્ણાંત શાહિજ જમીલે જણાવ્યું કે, “ભારત ખૂબ પહેલાથી જ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચી ચૂક્યું છે. જો કે સ્વાસ્થ્ય અધિકારી આ વાત સ્વીકારી નથી રહ્યાં. અહીં સુધી કે ICMR અંતર્ગત આવતા SARIના રિસર્ચમાં પણ સામે આવ્યું છે કે, સાર્સ-સીઓવી-2થી સંક્રમિત મળી આવેલા 40 ટકા લોકોમાં કોઈએ તાજેતરમાં વિદેશ પ્રવાસ નથી ખેડ્યો. આ સિવાય તેઓ કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાની પણ કોઈ જાણકારી નથી.”
આ અંગે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં ફરજ બજાવતા જાણીતા સર્જન ડૉ અરવિંદ કુમારે જણાવ્યું કે, “ICMRની દલીલ જો મની લેવામાં આવે તો, આ વાતનો ઈન્કાર ના કરી શકાય કે દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. ભારત એક વિશાળ દેશ છે અને દરેક રાજ્યમાં વાઈરસને લઈને અલગ અનુભવ અને તેના ચરમ પર પહોંચવાનો સમય પણ અલગ છે. એન્ટીબોડીને વિક્સીત કરવામાં બે અઠવાડિયાનો સમય લાગે છે એવામાં સર્વે એપ્રિલની સ્થિતિ દર્શાવી રહ્યો છે. ભારતમાં એપ્રિલમાં સ્થિતિ ઘણી સુધરેલી હતી. તેના આધારે સર્વે કરીને કહેવું કે, દેશ કોમ્યુનિટી ટ્રાન્સમિશનની સ્થિતિમાં નથી, તો તે ખોટું છે.”
જણાવી દઈએ કે, ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 308993 પર પહોંચી ગઈ છે. આ સાથે જ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત ચોથા ક્રમે આવી ગયો છે.