શેઠવડાળામાં ભરબજારે યુવાનની કાર ઉપર બીજી વખત હુમલો
જામજોધપુર તાલુકાના શેઠવડાળાની મુખ્ય બજારમાં મોડીરાત્રીના સમયે યુવાનની કાર ઉપર અજાણ્યા શખ્સોએ બીજી વખત હુમલો કર્યો હતો. બનાવમાં પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં રહેતા અને પ્રેસ પ્રતિનિધિ તરીકે કામ કરતા નિખિલ ખાખરિયા નામના યુવાનની GJ-10-TX-0408 નંબરની કાર ઉપર ગતરાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ હુમલો કરી કારના કાચ તોડી નાખ્યાં હતાં.
મુખ્ય બજારમાં જાહેરમાં થયેલા હુમલાને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. દુ:ખદ બાબત એ છે કે, યુવાન ઉપર છ માસ અગાઉ 9 જાન્યુઆરીના રોજ પણ કાર ઉપર હુમલો થયો હતો. છ માસ પૂર્વેના હુમલામાં પોલીસે હજુ સુધી એક પણ વ્યકિતની ધરપકડ કરી નથી. ત્યાં બીજી વખત યુવાનની કાર ઉપર બીજી વખત હુમલો થતાં પોલીસની કામગીરી ઉપર અનેક તર્કવિર્તકો થઈ રહ્યા છે. બીજી વખત થયેલા હુમલાની જાણ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.
– રોહિત આર. મેરાણી (જામનગર)