જી.જી.હોસ્પિટલના દર્દીઓની સલામતી ભગવાન ભરોસે
- તંત્રની લાપરવાહીને કારણે ફાયર સેફટીના સાધનોની રીફિલીંગ માટેની તારીખ વીતી ગઇ
સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જામનગરમાં છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં જામનગર તથા દ્વારકા સહીતના શહેર જિલ્લાના દર્દીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. પરંતુ જામનગરની જી.જી.હોસ્પિટલ વારંવાર ચર્ચામાં જ રહેતી આવી છે. એ પછી, ગંદગીનો પ્રશ્ર્ન હોય કે, અપુરતા બેડની સમસ્યા હોય કે પછી સુરક્ષાનો પ્રશ્ર્ન હોય અનેક વખત જી.જી.હોસ્પિટલ ચર્ચાનો મુદ્દો બની છે. ત્યારે આ વખતે જી.જી.હોસ્પિટલની વધુ એક ગંભીર ભુલ સામે આવી છે. જેના કારણે હોસ્પિટલમાં આવેલી લાખો દર્દીઓ પર જોખમ સજતી બાબત છે. જી.જી.હોસ્પિટલમાં રાખવામાં આવી ફાયર સેફટીના સાધનો એકસપાયરી ડેટના જોવા મળ્યા છે.
હાલમાં કોરોનાની મહામારીએ ભરડો લીધો છે. જામનગરમાં કોરોનાના કેસ સતત વધતા કોરોનાનો આંક બેવડી સદી સુધી પહોંચી ચુકયો છે. ખાસ કરીને એક તરફ ચોમાસાની સિઝન છે અને ઉપરથી કોરોનાની મહામારીને કારણે શરદી, તાવ જેવી બિમારીના કેસ વધી રહ્યા છે. ત્યારે જામનગર, દ્વારકા સહીતના શહેર તથા જિલ્લાના દર્દીઓ જી.જી.હોસ્પિટલમાં મોટી સંખ્યામાં આવતા હોય છે. સમગ્ર સોરાષ્ટ્રમાં અગ્ર ક્રમ ધરાવતી જી.જી.હોસ્પિટલની મોટી બેદરકારી જોવા મળી છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં ફાયર સેફટી માટે રાખવામાં આવેલા ફાયર એકસટીંગયુસરની તારીખ વીતી ગઇ હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી આ અંગે કોઇ પગલાં લેવામાં આવ્યા નથી.
– રોહિત આર. મેરાણી (જામનગર)