કોંગ્રેસના નેતા ભરતસિંહ સોંલકીની તબીયત નાદુરસ્ત, સારવાર માટે અમદાવાદ ખસેડ્યા
રાજયમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધતો જ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી રોજના 600થી વધારે કેસ સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરાના ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકીની તબીયત નાદુરસ્ત થવાના કારણે તેમને વધુ સારવાર માટે મોડી રીત્રે અમદાવાદ ખસેડવામાં આવશે. તેમ શહેર કોગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું.
વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલે વડોદરા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા ભરતસિંહ સોંલકીનો કોરોના ટોસ્ટ આવ્યા બાદ તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 5 દિવસથી તેમની સારવાર પણ ચાલી રહી હતી. પરતું આજે તેમની તબીયતમાં કોઈ સુધારો ન થવાના કારણે તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ સોમવારે મોડી રાત્રે વડોદરાથી અમદાવાદ લાવવામાં આવશે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવશે. જો કે, ભરતસિંહ સોંલકીને અમદાવાદની કઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવશે હજી તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. થોડાક દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રવિવારે નાદુરસ્ત તબિયત જણાતાં તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ પોઝિટિવ આવતાં ભરતસિંહ સોલંકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમદવાર હતા. 19 જૂને થયેલી રાજ્યસભાની ચૂંટણી અને તે પહેલાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના તમામ ધારાસભ્યોના સંપર્કમાં આવ્યા હોવાથી કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપરાંત રાજ્યસભાના વિજેત ઉમેદવાર શક્તિસિહં ગોહિલ સહિતના નેતાઓને પણ કોરોનાનો ચેપ લાગવાનો ખતરો જોવા મળી રહ્યો હતો. જો કે આજે સાંજે ભરતસિંહ સોંલકીની તબિયત થોડી વધારે નાદુરસ્ત થઈ હતી. જેથી તેમને વધુ સારવાર માટે તાત્કાલિક વડોદરાથી અમદાવાદ ખસેડી રહ્યાનું જાણવા મળે છે.