ધાનેરાના કોટડા(ધાખા) ગામમાં પાડેલ ઘરો સંદર્ભે બહુજન સમાજ પાર્ટી લાલઘૂમ
બહુજન સમાજ પાર્ટી દ્વારા ધાનેરા નાયબ કલેક્ટર કચેરીએ ધાનેરા તાલુકાના કોટડા(ધાખા) ગામમાં ૨૩ જેટલા પાડેલ ઘરો સંદર્ભે આવેદનપત્ર પાઠવી રોષ ઠાલવ્યો હતો, જેમાં બહુજન સમાજ પાર્ટીએ આવેદનપત્ર પાઠવી રોષ ઠાલવતા જણાવ્યું હતું કે ત્રણ દિવસ અગાઉ એટલે કે, ૨૫-જૂન-૨૦૨૦ અને ૨૬-જૂન-૨૦૨૦ના રોજ ધાનેરા તાલુકાના કોટડા(ધાખા) ગામમાં રહેતા ૨૩ જેટલા લોકોના રહેણાંક મકાનો વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ જમીન દોસ્ત કરી દીધા છે. વૈકલ્પિક વ્યવસ્થા કર્યા સિવાય પાડેલ મકાનો પૈકી એક દેશની રક્ષા કરતાં આર્મી જવાન ભરતભાઇ વિહાજી સોલંકી જેઓ ગોવા સ્થિતિ આવેલ પણજી મિલેટ્રી ડેન્ટલ સેન્ટર યુનિટ-૬માં યુદ્ધ દરમ્યાન ઘાયલ જવાનોની મેડીકલ સેવા પૂરી પાડતી ટુકડીમાં ફરજ પર તૈનાત છે.
આજે તેમના મકાનને પણ તોડી પાડી ધરાશય કર્યું હોઈ તેમના પરિવારજનો માં ભાઈ, બહેન, વડીલ માતા-પિતા રસ્તે રઝળતા થઈ ગયા હોવાથી આ બાબત દેશ માટે શરમજનક સાબિત થતી હોવાનું સ્પષ્ટ થાય છે. જોકે એકાએક મકાન પડી જતાં ધાનેરાના કોટડા (ધાખા) ગામના રહેવાસીઓ સાથે અન્યાય થયેલ હોઈ તેમજ કોર્ટના હુકમનું બિલકુલ અલગ અર્થઘટન કરી ઘરો પાડી નાખ્યા હોઈ રોષે ભરાયેલ બહુજન સમાજ પાર્ટી દ્વારા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહી ધાનેરાના નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે કોટડા(ધાખા) ગામના લોકોને ફરી મકાન બનાવી આપવામાં આવે તેવી માંગ કરી ઘટનાને સ્પષ્ટ શબ્દોમાં બહુજન સમાજ પાર્ટીએ વખોડી કાઢી હતી.
કોટડા(ધાખા) ગામે ઇંદિરા આવાસ યોજના અને સરદાર આવાસ યોજના હેઠળ મકાનો પાસ થયેલા હતા તેમાં જો મકાન દબાણમાં અને ગૌચરમાં હોય તો તેઓની પાસે લાઈટ બિલ, ઘરવેરા પાવતી તેમજ આવાસ યોજના હેઠળ પાસ થયેલ આધાર પુરાવા ન હોય પણ, જે ગ્રામજનોના મકાન પાડવામાં આવ્યા છે તે તમામ પાસે દરેક આધાર પુરાવા સાબિતી આપે છે, કે ગ્રામજનો કાયદેસર રહેઠાણ કરીને રહેતા હતા, જે સરકારે એ જમીનને ગૌચરની જમીન અને ગેરકાયદે દબાણ છે કહી મકાનોને પાડી દીધા હતા. જો જમીન સરકારી હતી તો પછી જે તે સમયે મકાન પાસ કરવામાં આવ્યા તે કેવી રીતે પાસ કરવામાં આવ્યા તે એક પ્રશ્ન છે. મકાન હટાવતા કોટડા(ધાખા)ના લોકો અત્યારે ચોમાસાની સીઝનમાં ક્યાં જઈને રહે તે એક મોટો પ્રશ્ન ઉભો થાય છે, અત્યારે તો મકાનો પડ્યા છે તે પીડિત પરિવાર રામભરોસેના હોઠા હેઠળ જીવી રહી છે.
વર્તમાનમાં વૈશ્વિક મહામારીનો કપરો સમય ચાલતો હોઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે બીજી બાજુ ધાનેરા તાલુકાના કોટડા(ધાખા)ના રહેવાસીઓના રહેણાંકો ત્રણ દિવસ અગાઉ જમીન ભેગા ભેળવી દેતા ઘા પર મીઠું ભભરાયાનો ઘાટ ઘડાયો છે. જેમાં શરમની વાત તો ત્યારે થાય જ્યારે દેશના જાંબાઝ આર્મી જવાન આપણા રક્ષણ માટે બોર્ડર પર રાત-દિવસ તૈનાત હોય છે, કે આપણે સુરક્ષિત રહી શકીએ પણ, અફસોસ કે કોટડા(ધાખા) ગામના આર્મી જવાન ભરતભાઇ વિ.સોલંકી જેઓ અત્યારે ગોવા સ્થિત આવેલ પણજી મિલેટ્રી ડેન્ટલ સેન્ટર યુનિટ-૬ માં ફરજ પર તૈનાત છે અને પરિવારનું ગુજરાન ચલાવવું તેમના શિરે છે.
અફસોસ કે એક આર્મી જવાનના સંઘર્ષ અને બલિદાનને પણ નજરે લેવામાં ન આવ્યું ને આર્મી જવાનના માતા-પિતાએ વર્ષો જુના ખરી મહેનતથી બનાવેલ આવાસ યોજના હેઠળ પાસ થયેલ રહેણાંક મકાનને પાડી દેતા આર્મી જવાનના પરિવાર જ આજે રસ્તે રઝળતા થયા છે. દેશ માટે સેવા આપવા ઘરનો ત્યાગ કરનાર આર્મી જવાન ખડેપગે ફરજ બજાવી દેશ સેવા કરે છે તો બીજી બાજુ પરિવારને પણ ઘર વિહોણા કરવું એ કેટલું યોગ્ય..? હવે જોવાનું એ રહ્યું કે, સરકાર શુ પગલાંઓ લે છે..? તે બાબતને આજે બહુજન સમાજ પાર્ટીએ નાયબ.કલેકટર ધાનેરા કચેરીને આવેદન પત્ર આપી ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી અને ૨૩ જેટલા પીડિત પરિવારને યોગ્ય ન્યાય મળે તે માટે બહુજન સમાજ પાર્ટીના લેટર પેડ પર આવેદન આપવામાં આવ્યું હતું.
રિપોર્ટ : તુલસી બોધુ, બ.કાં
લોકાર્પણ દૈનિક ન્યૂઝ