સ્મીમેર હોસ્પિટલમાં ખાતે પ્લાઝમા બેન્કની સ્થાપના કરાઈ
- ડો. કિશોર દુધાતે પ્લાઝમા ડોનેટ કરી પ્રથમ પ્લાઝમાં ડોનર બન્યા
- આજે બે વ્યક્તિઓના પ્લાઝમા ડોનેટ લેવામાં આવ્યા
સુરત,
સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ખાતે પ્લાઝમા બ્લડબેંકની સ્થાપના કરવામાં આવી હતી. બ્લડબેંક ખાતે કોવિડ-૧૯ માંથી સારા થયેલા દર્દીઓ પાસે થી પ્લાઝમા ડોનેશન સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી છે. આપણા પ્રથમ કોવિડ-૧૯ માટે નાં પ્લાઝમા ડોનર શ્રી ડો.કિશોર દુધાત કે જેઓ પોતે પણ હાડકા નાં રોગોનાં નિષ્ણાંત છે તેમના દ્વારા કરવામાં આવી હતી. તેઓ પોતાની સામાજીક જવાબદારી તેમજ બીજા કોવિડ-૧૯ નાં દર્દીઓને મદદરૂપ થવાની ભાવના સાથે પોતાનું પ્લાઝમા ડોનેશન કરવા માટે ઉત્સાહિત હતા. અન્ય એક પ્લાનમાં વ્યક્તિએ પણ પોતાનુ બ્લડ ડોનેટ કર્યુ હતું.આવી રીતે કોવિડ-૧૯ માંથી સાજા થયેલા દર્દીઓનું પ્લાઝમા જો બીજા કોવિડ-૧૯ નાં દર્દીઓને આપવામાં આવે તો તેમને ઝડપથી સારા થવામાં ખુબજ મદદરૂપ થઈ શકે છે.
અદ્યત્તન મશીન મારફતે કોવિડના સાજાં થયેલાં દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરતી વખતે ICMR અને NBTCની ગાઈડલાઈનને સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે. પ્લાઝમા લેતી વખતે ડોનરનું એન્ટી બોડી સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરવામાં આવે છે. કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે. આ પ્લાઝમામાં કોરોના વાયરસ સામેની એન્ટીબોડી હોય છે.
કોરોનાની બીમારીમાંથી સાજા થયેલાં દર્દીના શરીરમાં વાયરસ સામે એન્ટીબોડી ઉત્પન થાય છે. આ એન્ટીબોડી સાજા થયેલાં દર્દીના શરીરમાંથી નીકાળીને કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. લોહીમાં રક્તકણો અને તેનો પ્રવાહી ભાગ હોય છે જેને પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે. કોવિડ-૧૯ના ઈન્ફેક્શનમાંથી સાજા થઈ ગયેલા દર્દીઓના પ્લાઝમામાં રોગપ્રતિકારક એન્ટીબોડી હોવાની શક્યતા હોય છે. સાજા થયેલાં દર્દીના પ્લાઝમાને “કન્વેર્લિસેન્ટ પ્લાઝમા” કહેવાય છે જે કોરોનાના દર્દીને આપવાથી દર્દી સાજો થવાની શક્યતા વધી જાય છે. આ પ્રકારના દર્દીઓ માટે વિશેષ રીતે પ્લાઝમા બેન્ક શરૂ કરવામાં આવી છે.
રક્તદાતાને તમામ પ્રકારની માહિતી આપી અને મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ બ્લડ બેંકમાં એફેરેસીસ નામના મશીનમાં લોહીના ઘટકો અલગ પાડીને ૫૦૦ મીલી પ્લાઝમા એકત્ર કરવામાં આવે છે અને બાકીના રક્તદાતાના શરીરમાં પરત આપી દેવામાં આવે છે. કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેશન એકદમ સરળ અને સંપૂર્ણપણે સુરક્ષિત પક્રિયા છે. જેમાં માત્ર લોહીનો એકજ ઘટક પ્લાઝમા ડોનેટ કરવામાં આવે છે. પ્લાઝમા ડોનર એકવાર ડોનેટ કર્યા બાદ બીજા ૧૫ દિવસ પછી ફરી કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેટ કરી શકે છે.
સ્મીમેર હોસ્પિટલ ખાતેથી સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓનો સંપર્ક કરી પ્લાઝમા ડોનેટ કરવા માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી સમયમાં વિવિધ બ્લડ ગ્રુપ ધરાવતા પ્લાઝમા ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરી નિયમોનુસાર પ્લાઝમા બેન્કમાં સંગ્રહ કરવામાં આવશે.
આ પ્રસંગે સ્મીમેર મેડીકલ કોલેજ નાં ડીનશ્રી ડો. બંસલ ઉપસ્થિત રહ્યા હતા અને આપણા પ્રથમ પ્લાઝમા ડોનર ડો.દુધાત નું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે બ્લડબેંક દ્વારા તમામ જરૂરી તૈયારીઓ ડો. અંકિતા શાહ, ડો.દિમેન ભુવા તેમજ બ્લડબેંક નાં અન્ય સ્ટાફ ની અથાક મહેનત ને આભારી છે.