ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા સમયસર પગાર ન કરનાર એજન્સી વિરુદ્ધ પોલીસ ફરિયાદની માંગ
પંચમહાલ જિલ્લાના મોરા અને મોરવા હડફ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં આઉટસોર્સિંગ થી ફરજ બજાવતા કોરોના વોરિયર્સનો સમયસર પગાર ના કરવા બદલ એજન્સી ડી.જી.નાકરાણી વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા પંચમહાલ જિલ્લા એસ.પી.ને અરજી આપવામાં આવી છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગો અને કચેરીઓમાં વર્ગ ૩ અને વર્ગ ૪ ની જગ્યાઓ માટે આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે કર્મચારીઓ લેવામાં આવે છે આ કર્મચારીઓને નિયત વેતન કરતાં ઓછુ વેતન ચુકવવામાં આવે છે, પીએફ ઈએસઆઈ અને બોનસની રકમમાં એજન્સીઓ દ્વારા મોટી ખાયકી થતી હોવાની ફરિયાદો પણ ઉઠતી રહે છે.
ઘણા કર્મચારીઓનો ગ્રાંટ નથી આવી કે બિલ મંજુર થયુ નથી એવા કારણો ધરી બે થી ત્રણ મહિના સુધી પગાર કરવામાં આવતો નથી. કોરોના જેવી પેન્ડેમીકની સ્થિતિ મા આઉટસોર્સિંગ કર્મચારીઓ જીવના જોખમે કામગીરી કરતા હોવા છતાં એમનો પગાર સમયસર ના થતા આ કોરોના વોરિયર્સને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં પારાવાર મુશ્કેલીઓ પડે છે. પોતાની સમસ્યા બાબતે અધિકારીઓને રજુઆત કરવામાં આવે તો તમે અમારા કર્મચારીઓ નથી જેવા ઉડાઉ જવાબો આપી અધિકારીઓ પોતાની જવાબદારીમાથી હાથ ખંખેરી નાખતા હોઈ આઉટસોર્સિંગ કર્મચારીઓને ન્યાય અપાવવા લાંબા સમયથી લડત આપી રહેલ ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા વિભાગીય નાયબ નિયામકશ્રી ને રજૂઆત કરતા વડોદરા આરડીડી દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓને નિયત વેતન પીએફ ઈએસઆઈ અને સેલરી સ્લીપ આપવામાં આવે છે કે નહી એ સુનિશ્ચિત કરવાની જવાબદારી પીએચસી ના મેડીકલ ઓફિસર અને સીએચસીના અધિક્ષક ની નિયત કરેલ.
ખુદ ગુજરાત સરકાર દ્વારા પણ આરોગ્ય વિભાગ માં કોન્ટ્રાક્ટ એડહોક કે આઉટસોર્સિંગ થી ફરજ બજાવતા કોરોના વોરિયર્સનો સમયસર પગાર ના ચુકવવામાં આવે તો એજન્સીઓ અને અધિકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનો પરિપત્ર કરવામાં આવેલ એમ છતાં પંચમહાલ જિલ્લાના મોરા અને મોરવા હડફ સામુહિક આરોગ્ય કેન્દ્રના કોરોના વોરિયર્સનો જુન મહિનાનો પગાર ચુકવવામાં આઉટસોર્સ એજન્સી ડી.જી.નાકરાણી દ્વારા ઠાગાઠૈયા કરાતા આજે ગુજરાત જનતા જાગૃતિ મંચ ના પ્રમુખ રજનીકાંત ભારતીય દ્વારા ગુજરાત સરકાર ના ૨૨ જુનના પરિપત્ર મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને ઈન્ડિયન પીનલ કોડ હેઠળ ફરિયાદ દાખલ કરવા પંચમહાલ જિલ્લાના એસ.પી. ને અરજી આપવામાં આવી હતી તેમજ જ્યાં સુધી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આઉટસોર્સિંગ કર્મચારીઓનો પગાર સરકાર દ્વારા જ સીધો એમના ખાતામા નાખવાની જાહેરાતનો અમલ ના થાય ત્યાં સુધી રાજ્યની તમામ એજન્સીઓએ દર મહિનાની પાંચ તારીખ સુધી પોતાના કર્મચારીઓને પગાર ચુકવી દેવો અન્યથા એજન્સીઓ વિરુદ્ધ આવી જ રીતે પોલીસ ફરિયાદ દાખલ કરવાની ચીમકી રજનીકાંત ભારતીય એ આપી છે.
રીપોર્ટ :- તુલસી.બોધુ, બનાસકાંઠા
(લોકાર્પણ દૈનિક)