જામનગરમાં સોના-ચાંદીની રાખડીએ જમાવ્યું આકર્ષણ, પણ કોરોનાને લીધે 10 ટકા જ ખરીદી
- ગત વર્ષ જેટલા ભાવ છતાં ઉત્પાદન-વેચાણમાં ઘટાડો
જામનગરમાં રક્ષાબંધનના બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારમાં મેરા ભૈયા રામમંદિર બનાયેગા, સોના-ચાંદીની રાખડીએ આકર્ષણ જગાવ્યું છે. પરંતુ કોરોનાના કારણે ૧૦ ટકા રાખડીની ખરીદી થઇ રહી છે. બજારમાં રૂ.૨૦ થી ૨૨૦૦ સુધીની રાખડીના ઉપલબ્ધ છે. રાખડીના ગત વર્ષ જેટલા ભાવ છતાં કોરોના મહામારીને કારણે ઉત્પાદન અને વેચાણમાં ૫૦ ટકાથી વધુ ઘટાડો થયો છે.
જામનગરમાં ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીક રક્ષાબંધનના તહેવારની દર વર્ષે ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે અન્ય તહેવાર જેમ રક્ષાબંધનમાં પણ કોરોના મહામારીની અસર જોવા મળે છે. કારણ કે, કોરોનાના ભયને કારણે મોટાભાગના શહેરીજનો રાખડીની ખરીદી ટાળી રહ્યા છે. લીમડા લાઇનમાં દુકાન ધરાવતા વેપારી નિમેષભાઈ સીમરીયા જણાવ્યું હતું કે, આ વર્ષે મેરા ભૈયા રામમંદિર બનાયેગા, સોના-ચાંદીની તથા બાળકોમાં છોટાભીમ, ડોરેમોન, ડોનાલ્ડ, પબજી, એવેન્જર્સ રાખડીની માંગ છે. પરંતુ કોરોનાને કારણે ૧૦ ટકા ઘરાકી છે. બજારમાં રૂ.૨૦થી ૨૨૦૦ સુધીની રાખડી ઉપલબ્ધ છે.
– રોહિત મેરાણી (જામનગર)