તરવૈયા સુલતાન મીરને કોંગ્રેસ સમિતીએ રહેવા મકાન બનાવી આપતા કરી સેવાની સાચી કદર
થરાદમાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં રોજબરોજ કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કરવાના બનાવો બનતા હોય છે તે સમયે લાશને બહાર કાઢવા પોતાના જીવને જોખમમાં મૂકીને સુલતાન મીર કેનાલમાં છલાંગ લગાવી અનેકગણી લાશો બહાર કાઢી પોતપોતાના વાલીવારસને સુપરત કરી છે, જોકે સુલતાન મીરના આવા અનેક સાહસભર્યા કાર્યોની સાચી કદર થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિએ કરી છે જે ખરેખર માનવતાના દર્શન કરાવે છે. થરાદના તરવૈયા સુલતાન મીરને થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના આગેવાનો સહિત થરાદના અન્ય આગેવાનોએ તરવૈયા સુલતાન મીરને રહેવા માટે મકાન બનાવી સુપરત કર્યું હતું, સુલતાન મીરને એનાયત કરેલ રહેવાના મકાનમાં રસોડું, બાથરૂમ, સંડાશ, મકાનની ચારેકોર કોટ ગેટ સહિતની તમામ સુવિધાઓ ધરાવતું મકાન બનાવી આપતા નવા ઘરમાં સુલતાન મીરે પોતાના પરિવારજનો સાથે ગૃહ પ્રવેશ કર્યો હતો.
થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, થરાદ તાલુકા રાજપુત સમાજના પ્રમુખ ડી.ડી. રાજપૂત, થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત સહિતના આગેવાનો દ્વારા તરવૈયા સુલતાન મીરને નવિન મકાનની ચાવી અર્પણ કરાતા ઉમદા કાર્ય પુરૂં પાડયું હતું, જોકે તરવૈયા સુલતાન મીરે અનેકગણા સાહસ કાર્યો કર્યા હોવા છતાં પણ સરકાર કે તંત્ર દ્વારા કોઈ સહાય કે મકાન ન આપતા આખરે કોંગ્રેસ સમિતી સહિત અગ્રણીઓએ સુલતાન મીરને રહેવા માટે નવીન મકાન બનાવી આપતા સેવાની સાચી કદર થઈ હોવાના સ્પષ્ટ દર્શન થતા જોવા મળી રહ્યા છે જે ખરેખર સરાહનીય છે.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ