સિધ્ધપુર માં આવેલા રણછોડ રાયજી ના મંદિરમાં ૧૩૦ વર્ષથી ચાલતી ભજન કીર્તનની પરંપરા
- સિધ્ધપુર શહેરના મંડી બજાર વિસ્તારમાં ૧૫૦ વર્ષ જૂનું રણછોડ રાયજીનું મંદિર આવેલું છે , જે મહારાષ્ટ્રીયન સમાજનું શ્રદ્ધાનું કેન્દ્ર ગણાય છે.
આ મંદિરમાં ૧૩૦ વર્ષ પહેલાં દત્ત સ્વરૂપ પ.પૂ.વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ પવિત્ર શ્રાવણ માસમાં ચાર્તુમાસ કરવા સરસ્વતી નદીના કિનારે આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરમાં પધારેલા હતા ત્યારે રણછોડ રાયજીના મંદિરમાં દર્શન કરવા આવેલા ત્યારે મંદિરના પૂજારી કોરાને પરિવારના કૃષ્ણમય પુરકર ને એમના આગમન ની સ્મૃતિ તરીકે એક જોળીની ભેટ આપી હતી અને આર્શીવચન માં કહ્યું હતું કે રણછોડજી ભાવના ભૂખ્યા છે. ભક્તોની ભક્તિ અને કિર્તન પ્રભુને ખૂબ ગમે છે રણછોડજીની આરાધના થાય તેમાટે શ્રાવણ વદ એકમ થી સાતમ સુધી ભગવાન રણછોડ રાયજીનું અખંડ ભજન કીર્તન થાય તેવી પરંપરા ચાલુ કરાવી હતી. આ પરંપરા આજ દિન સુધી ચાલુ છે.
મંદિરમાં જન્માષ્ટમી નો ઉત્સવ રંગે ચંગે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં વસવાટ કરતા TV કલાકાર , રેડિયો કલાકાર, સંગીત કલાકાર , સરકારી અધિકારીઓ , ડૉક્ટર , વકીલ, એન્જીનીયર , CA વગેરે અહીં પધારે છે. આ અંખડ ધૂનમાં ત્રણ ત્રણ કલાકની વારી હોય છે, જેમાં અલગ અલગ ભજન મંડળીઓ સવારના ચાર પ્રહર અને રાત્રીના ચાર પ્રહર એમ કુલ ૨૪ કલાકની અખંડ ધૂન ગુજરાતી, મરાઠી, હિન્દી ભાષાના ભજન કીર્તન શરણાઈ, ઢોલ, તબલા, હાર્મોનિયમ, મંજીરા જેવા વાજિંત્રોના તાલ સાથે ભજન કિર્તન કરતાં હોય છે. સંત તુકારામ, પંચવટી ભજન, ગોળાણી , ભૈરવી રાગનું કીર્તન પણ રજૂ કરવામાં આવે છે.
આ સાત દિવસ દરમિયાન રણછોડ રાયજીને ગોપાલ કૃષ્ણ , વાલ્મિકી , પરશુરામ, મોહિની, બ્રહ્મા , વિષ્ણુ , જેવા આંગીઓથી શણગારવામાં આવે છે. વાસુદેવાનંદ સરસવતી મહારાજ દ્વારા આપવામાં આવેલી જોળી ( છાટીં ) રણછોડ રાયજીના પહેલા પૂજારી કૃષ્ણ ભટ્ટ ને આપેલી હતી. આ ઉત્સવ દરમિયાન આ જોળી લઈ ભિક્ષા માંગવાની પરંપરા આજ દિન સુધી ચાલુ છે. ધોતી ઝભ્ભો અને જોળીનો પરંપરાગત પહેરવેશ પહેરી સિધ્ધપુરના મહોલ્લા માં ગોપાલ કૃષ્ણ ના જય ગોસ સાથે ભિક્ષા ગ્રહણ કરે છે અને આ ગ્રહણ કરેલી ભિક્ષા ને ભોજન પ્રસાદ તરીકે ઉપયોગ કરે છે.
મંદિરના પૂજારી મહેન્દ્રભાઈ એ જણાવ્યું હતું અત્યારે વૈશ્વિક કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે ચાલું વર્ષે અખંડ નામ સ્મરણ સપ્તાહ સવારે ચાર વાગે થી રાત્રે દસ વાગ્યા સુધી રાખવામાં આવી છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નીતિ નિયમ મુજબ સોશિયલ ડિસ્ટન્સ , માસ્ક અને સેનેટાઈઝર સાથે દર્શનાર્થીઓ આ ભજન કીર્તન નો લાભ લઈ રહ્યા છે.
જય આચાર્ય