બનાસકાંઠા કલેકટરનાં હસ્તે પીવાના પાણીની યોજનાનું લોકાર્પણ
- નલ સે જલ યોજના અંતર્ગત ટોકરીયા ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે રૂ.૨૪.૯૯ લાખના પીવાના પાણીની યોજનાનું લોકાર્પણ થયું
નલ સે યોજના અંતર્ગત પાલનપુર તાલુકાના ટોકરીયા ખાતે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે રૂ. ૨૪.૯૯ લાખના ખર્ચથી નિર્માણ પામેલ આંતરીક પીવાના પાણીની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટરશ્રીએ ગ્રામજનોને સંબોધન કરતાં જણાવ્યું કે, લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રીની નલ સે જલ યોજનામાં ઘર ઘર સુધી નળ મારફત પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાણીનો ખુબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરીએ તથા આ ઉનાળાના સમયમાં જળ સંચયના ખુબ મોટા પ્રમાણમાં કામો કરવામાં આવે જેથી ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે ભૂગર્ભ જળ ભંડારો ભરીને સમૃધ્ધ બનાવી શકાય.
તેમણે કહ્યું કે, ગામના વિકાસ માટે ગામમાં એકતા, સંપ અને ભાઇચારો જરૂરી છે. ઘણાં ગામોમાં સરપંચશ્રી અને ગ્રામજનોની એકતાના કારણે જળ સંચયના ખુબ સારા કામો પણ થયા છે. તેમણે જણાવ્યું કે, ગામડાઓના સર્વાગી વિકાસ માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનામાં પુરતા પ્રમાણમાં નાણાં ફાળવવામાં આવે છે ત્યારે આયોજનપૂર્વક કામો કરવામાં આવે તો ગામને સ્વચ્છ, સુંદર અને વિકસીત ગામ બનાવી શકાય છે. કલેકટરશ્રીએ કહ્યું કે, ગામડાઓએ આપણી સંસ્કૃતિ, સામાજીક સભ્યતા અને ભવ્ય વિરાસત જાળવી રાખી છે.
ગામમાં કોઇ વિધવા બહેન હોય કે અનાથ બાળક હોય તેને કયા લાભ સરકારશ્રીની યોજનામાંથી અપાવી શકાય તેની સામેથી જાણકારી આપી તેમના જીવનમાં ઉજાશ લાવવાનું કામ આપણે સ્થાનિક સ્વરાજ્યની સરકાર તરીકે કરવું જોઇએ જેનાથી તમે કરેલા કામથી તમને આત્મસંતોષ મળશે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સરકારશ્રીની સુચના પ્રમાણે હાલમાં ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓને કોરોના રસી સરકારી દવાખાનામાં મફત આપવામાં આવી રહી છે ત્યારે કોઇપણ પ્રકારનો ડર રાખ્યા સિવાય કોરોના રસી લઇ આપણા કુંટુંબ, ગામ અને સમાજને કોરોના વાયરસથી સુરક્ષિત રાખીએ. માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું વગેરે કોરોનાની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવા તેમણે લોકોને અનુરોધ કર્યો હતો.
પ્રારંભ સ્વાગત પ્રવચન કરતાં વાસ્મોના યુનિટ મેનેજર શ્રીમતી કૈલાશબેન એન. મેવાડાએ જણાવ્યું કે, તમામ ઘરોને નળ કનેક્શનથી પીવાનું પાણી આપવા માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જલજીવન મિશનની રાષ્ટ્રથવ્યાપી શરૂઆત કરાવી છે જેમાં વર્ષ-૨૦૨૪ સુધી દેશમાં તમામ ઘરોને નળ કનેક્શનથી જોડવાનું લક્ષ્યાં્ક છે. તે લક્ષ્યાં કને વર્ષ-૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવા આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે વાસ્મો કચેરી દ્વારા જિલ્લાના તમામ ગામોનો સર્વે કરવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ- ૬,૫૨,૮૦૬ ઘરો પૈકી ૫,૬૮,૮૪૨ ઘરો એટલે કે ૮૭.૧૪ ટકા ઘરો નળ જોડાણ ધરાવે છે. બાકી રહેલા ૮૩,૯૬૪ ઘરો એટલે કે ૧૨.૮૬ ટકા ઘરો નળ કનેક્શનથી જોડવાના બાકી છે તે તમામ ઘરોમાં ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે કલેકટરશ્રીના હસ્તે ગામની પાણી સમિતિના સભ્યશ્રીઓ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર ત્રણ આશા વર્કર બહેનોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મામલતદારશ્રી કમલ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારીશ્રી પરમાર, વાસ્મોના અધિકારીશ્રી આશીષ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ર્ડા.દિપક અનાવાડીયા, ટોકરીયા સરપંચ શ્રીમતી અફસાબેન હીફજુરહેમાન દાઉઆ, સેદ્રાસણા સરપંચ શ્રી પ્રેમજીભાઇ સહિત આજુબાજુ ગામના સરપંચશ્રીઓ, અગ્રણીઓ સર્વશ્રી મોતીભાઇ પાળજા, પ્રવિણભાઇ, ભીખાભાઇ બેરા, મોહસીનભાઇ સહિત ગ્રામજનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)