રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ઠંડા અને શુદ્ધ પાણીના પરબનું ઉદ્ઘાટન
રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ઠંડા અને શુદ્ધ પાણીના પરબનું ઉદ્ઘાટન નગરપાલિકાના સફાઈ કર્મચારી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. હળવદ શહેરમાં ધ્રાંગધ્રા દરવાજાથી લક્ષ્મીનારાયણના ચોક સુધી જૂની અને મોટી બઝાર આવેલી છે. આ આખા મેઈન રોડ ઉપર ક્યાંય સ્થાયી અને યોગ્ય પાણી પરબ વ્યવસ્થા નહિ હોવાથી રોટરી દ્વારા પાકી ઓરડી સાથેનું પાણી પરબ બંધાવ્યું હતું. લોકોની ખુબ અવરજવર અને ભીડભાળ વાળી દરબાર નાકાના ખૂણા ઉપરની જગ્યાએ રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા બનાવેલ સુંદર, કલાત્મક અને બધી સુવિધાથી સભર ઠંડા તેમજ શુદ્ધ પાણીના પરબ થકી લોકો બારેમાસ પ્યાસ બુઝાવી શકે એવા હેતુથી પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પરબની સફાઈ, જાળવણી અને દેખરેખની જવાબદારી દરબાર નાકાં વિસ્તારના યુવાનોએ તેમજ આજુબાજુની દુકાનોવાળાએ ઉપાડી છે. આ પ્રોજેક્ટનું ડોનેશન સ્વ: મુળજીભાઈ રૂગનાથભાઈ પિત્રોડા મૂળગામ ટીકર (રણ) ના સુપુત્રી સ્વ: જયાબેન અમૃતલાલ સંધાડિયાના સ્મરણાર્થે તેમના ભાભીશ્રી મધુબેન માણેકલાલ પિત્રોડા શિકાગો (અમેરિકા) તરફથી આપવામાં આવ્યું હતું.
રીપોર્ટ : રમેશ ઠાકોર (હળવદ)