ઇન્કવાયર વિન્ડો પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ માટે મુકાયેલા લાઉડ સ્પિકર બંધ થઇ જતાં મુસાફરો હેરાન પરેશાન
રાજકોટમાં દરરોજ જયાં ૧૨૦૦થી વધુ એસટી બસો અને ૫૦ હજારથી વધુ મુસાફરોની અવરજવર છે તેવા ઢેબર રોડ બસ પોર્ટમાં છેલ્લા ૧૫ દિવસથી ઇન્કવાયર વિન્ડો પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ માટે મુકાયેલા લાઉડ સ્પિકર બંધ થઇ જતાં મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા છે. કઇ બસ આવી અને કઇ બસ રવાના થઇ તે પુછવા વારંવાર વિન્ડો પર દોડધામ કરવી પડી રહી છે.
વિશેષમાં રાજકોટ એસટી બસ પોર્ટ પરથી નિયમિત અપડાઉન કરતા મુસાફરોએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી બસ પોર્ટમાં પીવાના પાણીના પણ ધાંધિયા છે. વિનામુલ્યે પીવાનું પાણી મળે તે માટે પરબ છે પરંતુ તેમાં વારંવાર પાણી પુરવઠો બંધ કરી દેવાય છે. જેના લીધે મુસાફરોએ નાછુટકે પીવાના પાણીની બોટલો ખરીદવી પડે છે.
તદ્ઉપરાંત વોશ બેઝિન, બાથમ અને ટોઇલેટમાં પણ વારંવાર પાણી પુરવઠો બંધ કરી દેવાતો હોય મુસાફરો કફોડી હાલતમાં મુકાય જાય છે. બોર ડૂકી ગયા બાદ વેચાતું પાણી લેવું પડતું હોય આવી સ્થિતી સર્જાયાની ચર્ચા છે.
ઉપરોકત મામલે રાજકોટ એસટી ડિવિઝનના જવાબદાર અધિકારીઓ હરકતમાં આવી તુરંત પગલાં લઇ દુરસ્તી નહીં કરાવે તો આંદોલનની ચિમકી મુસાફરો દ્વારા ઉચ્ચારાઇ છે.
રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી