ભાસ્કર ગ્રુપ પર જોહુકમીના વિરોધમાં સંસદ ઠપ
ચોમાસુ સત્રમાં ભાસ્કર ગ્રુપ પર પાડવામાં આવેલા IT વિભાગના દરોડાનો મુદ્દો સંસદમાં પણ વિપક્ષ દ્વારા જોરશોરથી ઉઠાવવામાં આવ્યો છે. રાજ્યસભામાં ભાસ્કર ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગના દરોડા મુદ્દે વિપક્ષના સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો અને સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાર બાદ બપોરે 2 વાગ્યા સુધી ગૃહ સ્થગિત કરવામાં આવ્યું હતું. લોકસભામાં પણ ખળભળાટ મચી ગયો હતો, જ્યાં ફોન-ટેપિંગ અને જાસૂસીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે કોરોનાની બીજી લહેર દરમિયાન દેશની સામે સરકારના અણઘડ આયોજનની વાસ્તવિક તસવીર બતાવનાર દેશના અગ્રણી મીડિયા ભાસ્કર ગ્રુપની અનેક ઓફિસો પર ગુરુવારે સવારે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. વિભાગની ટીમો દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સ્થિત ઓફિસો પર પહોંચી ગઈ છે અને કાર્યવાહી ચાલુ છે.
કોંગ્રેસે કહ્યું- સત્યને નિર્ભયતાથી પ્રકાશિત કરી રહેલા મીડિયા ગ્રુપને દબાવવાનો પ્રયાસ
ભાસ્કર ગ્રુપ પર દરોડા પડ્યા બાદ કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે દેશના સત્યને નિર્ભયતાથી પ્રકાશિત કરી રહેલા મીડિયા ગ્રુપને દબાવવાનો આ પ્રયાસ છે. આ તરફ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દરોડા દ્વારા મીડિયાને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.