જામનગરના હડતાલ ઉપર ઉતરેલા તબીબોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ: નોટિસ આપતા સાથેજ વીજળી પુરવઠો કરવામાં આવ્યો ઠપ્પ
જામનગર : જામનગર સહિત રાજ્યના બોન્ડેડ તબીબો દ્વારા હડતાલ પાડવામાં આવી છે, ત્યારે સરકારના આદેશથી જામનગરમાં હડતાલ ઉપર ઉતરેલા તબીબોને હોસ્ટેલ ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ આ હોસ્ટેલમાં ગત્ સાંજે વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. આમ સકારના આકરા પગલાંથી હડતાલ ઉપર ઉતરેલા તબીબોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે, જ્યારે હવે આ લડાઈમાં નવો વળાંક આવે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. રાજ્યની વિવિધ હોસ્પિટલમાં સેવા આપતા બોન્ડેડ તબીબો પોતાની માંગણીને વાચા આપવા માટે હડતાલમાં ઉતરી ગયા છે, જયારે આજે આ હડતાલ ચોથા દિવસમાં પ્રવેશી હતી. તબીબોને આ હડતાલથી દર્દીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે. પરિણામે સરકારે આકરા પગલાં લેવાનો આદેશ આપ્યો છે. આથી જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન દ્વારા બોન્ડેડ તબીબોને હોસ્ટેલ રૃમ ખાલી કરવાની નોટીસ આપવામાં આવી હતી. ઉપરાંત ગઈકાલે બપોર પછી આ હોસ્ટેલનું વીજ જોડાણ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરિણામે આ તબીબોને હોસ્ટેલની બહાર રાત વિતાવવી પડે તેવી ફરજ પાડવામાં આવતા તબીબોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે અને આગામી સમયમાં કાંઈક નવાજુની થવાના એંધાણો જોવા મળી રહ્યા છે. આજે સવારે પણ આ તબીબોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યા હતો. આમ તબીબોની હડતાલને પૂર્ણ કરવા સરકાર દ્વારા આકરા પગલાં લેવાનું શરૃ કરવામાં આવતા મામલો ગરમાયો છે, જ્યારે હવે તબીબો હડતાલ ચાલુ રાખશે કે નમતું જોખી શરણાગતિ સ્વીકારશે એ તો આવનારો સમય જ કહેશે.