જામનગર જી.જી. હોસ્પીટલમાં ચાલતાં પ્રોજેકટ અંતર્ગત દિવ્યાંગો ને કોરોના વોરીયર્સ તરીકે સન્માનીત કરાયા
જામનગરમાં નેશનલ એસોસીએસન ફોર ધ બ્લાઈન્ડ શાખા સંચાલિત જી.જી. હોસ્પીટલમાં ચાલતાં કેસ વિન્ડો પ્રોજેકટ અંતગર્ત ફરજ બજાવતા દિવ્યાંગ વિન્ડો ઓપરેટર્સને કોરોના વોરીયર્સ તરીકે સન્માનીત કરાયા હતા. દિવ્યાંગ વિન્ડો ઓપરેટર્સને કોરોના વોરીયર્સ તરીકે સન્માનીત કરવાના ઉદ્દેશથી સંસ્થા પ્રમુખ ચંદુલાલ રાયચંદ શાહના અધ્યક્ષપદે અને મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી તથા શહેર ભાજપ પ્રમુખ ડૉ.વિમલ કગથરાની ઉપસ્થિતીમાં અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કિરણસિંહ સોલંકી, ગીતાબેન ભચાણી, શાન્તુબેન મારૂ, ખ્યાતિબેન ગોંડલીયા, સંજય મહેતા, અમૃત પરમાર, દેવશી ચૌહાણ, ગૌરાંગ પરમાર, કોમલબેન મિયાત્રા, લાખુબેન બારીયા અને ગૌરીબેન પંગર એમ કુલ 11 દિવ્યાંગ વિન્ડો ઓપરેટર્સ તથા તેમના સહયોગી જીગ્નેશ રાયચુરા, બાબુલાલ જીયા અને અનિરુદ્ધસિંહ વીઠુ સહિત ૩ કાર્યકરોને તેમની કોરોના કાળની 18 માસની સનિષ્ઠ સેવાઓને બિરદાવવામાં આવી હતી.
બીનાબેન કોઠારી તથા ડૉ. વિમલ કગથરાએ સન્માનપત્ર અપર્ણ કરી દિવ્યાંગ કાર્યકરોની જીંદાદિલીની પ્રસંશા કરીને અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર દ્વારા વિતેલી અર્ધી સદીમાં અંધજનોના પુનઃસ્થાપન ક્ષેત્રે બજાવવામાં આવેલી કામગીરી માટે સંતોષ વ્યકત કર્યો હતો.
સર્વ સન્માનાર્થીઓને અભિનંદન પાઠવ્યાંસંસ્થા પ્રમુખ ચંદુલાલ શાહે મહેમાનોનુ સ્વાગત કર્યુ હતું. જયારે સંસ્થાનાં મંત્રી ડો.પ્રકાશ મંકોડીએ સન્માન સમારંભ વિશે વિસ્તૃત વિગતો આપીને સર્વ સન્માનાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતા. સંસ્થાના ઉપપ્રમુખ બિમલ મહેતાએ પ્રાસંગિક પ્રવચન કરતાં દિવ્યાંગજનોને શુભકામનાઓ પાઠવી હતી. અંતમાં સંસ્થાનાં અધ્યાપક હરેશ હિંડોચાએ આભાર દર્શન કરી રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમનું સમાપન કર્યુ હતું.