રાજકોટ માં પીવાના પાણી માટે મ્યુનિ કમિશનરશ્રી અમિત અરોરાએ ન્યારી-૨ ડેમની વિઝિટ કરી
રાજકોટ શહેર માટે પીવાના પાણી માટેના નવા સોર્સ ઉભા કરવાની દિશામાં પ્રયાસ, મ્યુનિ કમિશનરશ્રી અમિત અરોરાએ ન્યારી-૨ ડેમની વિઝિટ કરી.
રાજકોટ માં ભવિષ્યની વસતિ માટેની પીવાના પાણીની સંભવિત જરૂરિયાતને નજર સમક્ષ રાખી અત્યારથી જ પીવાના પાણી માટેના નવા સોર્સ ઉભા કરવાની દિશામાં પ્રયાસના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી અમિત અરોરાએ આજે તા.૨૪-૯-૨૦૨૧ ના રોજ ન્યારી-૨ ડેમની મુલાકાત લીધી હતી. આ સ્થળ મુલાકાત અંગે વાત કરતા મ્યુનિ. કમિશનરશ્રીએ એમ જણાવ્યું હતું કે, રાજકોટની પાણીની ભાવી જરૂરિયાતનો અત્યારથી જ વિચાર કરવો જરૂરી છે. મહાનગરપાલિકાએ પાણીના નવા સોર્સ ઉભા કરવા પણ જરૂરી બને છે. આ પ્રયાસના એક ભાગરૂપે આજે ન્યારી-૨ ડેમની મુલાકાત લીધી હતી. અત્યારે આ જળાશયમાં વોંકળાઓના પાણી પણ આવી રહ્યા હોવાથી ડેમનું પાણી પીવાના ઉપયોગમાં લઈ શકાય એમ નથી. ભવિષ્યની વાત કરીએ તો, હાલ જે વોંકળાઓમાંથી ડેમમાં પાણી આવે છે. તે તમામ વોંકળાઓને ભૂગર્ભ ગટર સાથે જોડી દઈ તેના પાણીને ડેમમાં આવતા રોકવા અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે. આ યોજનાની વાસ્તવિક સંભાવનાઓ ચકાસવામાં આવી રહી છે. કમિશનરશ્રી અમિત અરોરાએ વધુમાં ઉમેર્યું હતું કે, ન્યારી-૨ ડેમના નીરને પ્રદૂષિત કરતા વોંકળાનાં પાણીને અન્યત્ર વાળવામાં આવે તો ડેમમાં ધીમે ધીમે ચોખ્ખું પાણી આવી શકે છે. આ માટે વરિષ્ઠ અધિકારીશ્રીઓ પાસેથી ફિઝીબિલીટી રીપોર્ટ માંગવામાં આવેલ છે. આ રીપોર્ટ રજુ થયે આગળની કઈ કાર્યવાહી કરી શકાય એમ છે. તે નક્કી કરવામાં આવશે. દરમ્યાન કમિશનરશ્રીએ ન્યારી-૨ ડેમના નીરને શુધ્ધ કરવા માટે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને R.O ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં વિકલ્પ અને સંભાવનાઓ ચકાસવા માટે પણ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. કમિશનરશ્રીની આ સ્થળ મુલાકાત દરમ્યાન નાયબ કમિશનરશ્રીઓ શ્રી આશિષ કુમાર, શ્રી ચેતન નંદાણી અને શ્રી એ.આર.સિંહ, સિટી એન્જિનિયરશ્રીઓ શ્રી એમ.આર.કામલિયા, શ્રી એચ.યુ.દોઢિયા, શ્રી કે.એસ.ગોહેલ, શ્રી વાય.કે.ગૌસ્વામી, શ્રી એચ.એમ.કોટક, પી.એ.(ટુ) કમિશનરશ્રી રસિક રૈયાણી, ડેપ્યુટી એન્જિનિયરશ્રીઓ શ્રી કે.પી.દેથરીયા, શ્રી સી.બી.મોરી, શ્રી બી.ડી.ઢોલરિયા, શ્રી એચ.એન.શેઠ અને શ્રી એ.જી.પરમાર વગેરે હાજર રહ્યા હતાં.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.