જામનગર : દબાણો હટાવવા મુદ્દે કમિશનર ને પત્ર લખી દબાણો દૂર કરવા રજૂઆત
તાજેતરમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વોર્ડ નં. રના કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, આ અંગે સ્થાનીક લેવલે તપાસ કરતા એવું જાણવા મળ્યું હતુ કે આ વોર્ડમાંથી પસાર થતી કેનાલ અને નદી કાંઠાના બંને વિસ્તારોમાં અનેક ગેરકાયદે દબાણો થઇ ગયા છે જેના કારણે આ વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ભારે નુકશાન થયું છે જો આ અંગે તાત્કાલીક કાર્યવાહી કરીને કેનાલ ઉપરના દબાણો દૂર નહીં કરાય તો સ્થાનીક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી વોર્ડ નં. રના નગરસેવકો જયેન્દ્રસિંહ (હકાભા) ઝાલા અને જયરાજસિંહ જાડેજાએ મ્યુ. કમિશ્નરને લખેલા પત્રમાં કરી છે.
આ પત્રમાં જણાવાયું છે કે વોર્ડ નં. રમાં વરસાદી પાણીની કેનાલ અને નદી કાંઠા ઉપર અનેક ગેરકાયદે બાંધકામો થઇ જવાના કારણે કેનાલ સાંકડી થઇ ગઇ છે, આ કેનાલ ઉપર માથાભારે અને અસામાજીક તત્વો દ્વારા બાંધકામો કરી અને વેચાણ કરી નાખવામાં આવેલ છે જેના કારણે કુદરતી વરસાદી પાણીનો નિકાલ અટકી ગયેલ હોય આથી આ કુદરતી નહીં પણ માનવસર્જીત હોનારત સર્જાયેલ છે, આથી આપને વિનંતી છે કે આ સ્થળો ઉપર તપાસ કરાવીને તાત્કાલીક અસરથી દબાણો દૂર કરી કેનાલ પહોળી કરવામાં આવે અને જો આ કાર્યવાહી તાત્કાલીક નહીં કરાય તો સ્થાનીક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને ઉભી થનાર પરિસ્થીતી અંગે બેદરકાર અધિકારીઓની જવાબદારી રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી આપી છે.
જામનગર મહાપાલીકામાં ખુદ શાસકપક્ષના બે અગ્રણી કોર્પોરેટરોએ હવે કેનાલ પરના ગેરકાયદેસર દબાણના પ્રશ્ર્ને આંદોલનનું રણશીંગુ ફુકયુ છે ત્યારે આગામી દિવસોમાં તંત્ર આ પ્રશ્ર્નને કેવી રીતે ગંભીરતાપૂર્વક લે છે તે જોવાનું રહયું હાલમાં તો શાસકપક્ષના બંને નગરસેવકોની તંત્રને ચેતવણી અંગે ભારે ચચર્ઓિ જાગી છે.