રૂ.૨૬.૧૨ કરોડના ખર્ચે બનનારા વંથલી રિવરફ્રન્ટનું માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત
રૂ.૨૬.૧૨ કરોડના ખર્ચે બનનારા વંથલી રિવરફ્રન્ટનું માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત
ઓજત નદીનો કિનારો બનશે રળિયામણો
દુનિયાભરના પ્રવાસીઓ ગુજરાત તરફ આકર્ષાય તે દિશામાં રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ કામ કરી રહ્યું છે
-મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી
જૂનાગઢ : રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ તથા માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે ઓજત નદી પર ૨૬.૧૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વંથલી રિવરફ્રન્ટનુ શાસ્ત્રોક્ત વિધિનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ નક્સાના માધ્મમથી વંથલી રિવરફ્રન્ટની સુવિધાઓનુ જીણવટપૂર્વક જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી મોદીએ જણાવ્યું કે, વંથલી રીવરફ્રન્ટ નિર્માણ પામવાથી આ વિસ્તારના પ્રવાસનને વધુ વેગ મળશે. જૂનાગઢ, સોમનાથ અને સાસણ ખાતે આવતા પ્રવાસીઓ પણ આ રીવરફ્રન્ટની પણ મુલાકાત લેશે. અહીંયા હરવા-ફરવા માટે અને આનંદ પ્રમોદની અનેક સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેથી લોકોની સુખાકારીમાં પણ વધારો થશે.
મંત્રીશ્રીએ રાજ્યના પ્રવાસન વિકાસની વિગતો આપતા જણાવ્યું કે, દેશના જ નહીં પરંતુ દુનિયાભરના પ્રવાસીઓ ગુજરાત તરફ આકર્ષાય તે દિશામાં રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ કામ કરી રહ્યું છે. રાજ્યના પ્રવાસન વિકાસને વેગ આપવા માટે શિવરાજપુર, માધવપુર, તિથલ, ઉભરાટ સહિતના બીચ વિકસાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ બાદ સુરતમાં તાપી, ભરૂચમાં નર્મદા રિવરફ્રન્ટ સહિત અનેક સ્થળોએ ભૌગોલિક સ્થિતિ અનુસાર પ્રવાસના સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડાંગ જિલ્લાનો મોનસુન ફેસ્ટિવલ સહિતના અનેક સ્થળો આજે અન્ય દેશોના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે તેમ જણાવતા મંત્રીશ્રીએ સોમનાથ, દ્વારકા, પાવાગઢ અંબાજી, શામળાજી સહિતના યાત્રાધામોના વિકાસની જાણકારી આપી હતી.
ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકિનારે વલસાડથી નારાયણ સરોવર સુધી કોસ્ટલ હાઈવેનુ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનાથી પણ રાજ્યના પ્રવાસન વિકાસ એક નવી દિશા મળશે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતને પ્રકૃતિએ સમુદ્ર, રણ સહિતની ખૂબ વિવિધતા બક્ષી છે. જેને ધ્યાને રાખી ગુજરાતની રાજ્યની ચારેય દિશામાં પ્રવાસનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આમ, પ્રવાસન ઉદ્યોગને વેગ મળવાથી નવી રોજગારીની તકોનું પણ નિર્માણ થઈ રહ્યું છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૪માં દેશની બાગડોર સંભાળ્યા બાદ એક પરિવર્તન જોવા મળી રહ્યું છે. એક રોડ મેપ સાથે દેશમાં વિકાસ કાર્યોને વેગ આપવામાં આવ્યો છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અને ઘર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈ લોકોએ રાષ્ટ્ર ભક્તિનો પરિચય આપ્યો છે. તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયાએ જણાવ્યું કે, આ વિસ્તારમાં છેલ્લા બે દાયકાથી વિકાસને વેગ મળ્યો છે. ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઓજત, ટીકર વીયર, વંથલી વીયર સહિતના જળસંચય માટેના પ્રકલ્પો વિકસાવાયા છે. ત્યારે માણાવદર, બાટવા, મેંદરડા બાદ વંથલીને એક વધુ રિવરફ્રન્ટ મળ્યો છે. આમ, રાજ્ય સરકારની આ ભેટ લોકો માટે એક નવું નજરાણું બની રહેશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, પૂર્વ મેયર ધીરુભાઈ ગોહેલ, પ્રાંત અધિકારી શ્રી અનુલ ચૌધરી, વંથલી નગરપાલિકાના હોદ્દેદારો, અગ્રણી સર્વશ્રી રાજભાઈ ચાવડા, જે.કે. ચાવડા, પી.ડી. કાચા, પ્રવાસન વિભાગના અધિકારીશ્રીઓ-ઈજનેરશ્રીઓ અને સરપંચો-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756