વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધની ઝૂંબેશ અંતર્ગત બેંક લોન મંજૂરીપત્ર વિતરણ કાર્યક્રમ

વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધની ઝૂંબેશ અંતર્ગત બેંક લોન મંજૂરીપત્ર વિતરણ કાર્યક્રમ
Spread the love
  • વડોદરામાં ત્રણ હજાર લોકોને વ્યાજખોરીના દૂષણમાંથી બચાવી બેંકમાંથી લોન અપાવાઈ
  • ડાયરીના રૂપિયા ન લેવા અને વ્યાજખોરોની લોભામણી વાતોમાં ન આવવા ગૃહ રાજ્યમંત્રીશ્રીની લોકોને અપીલ
  • વ્યાજખોરીનું દૂષણ ગુજરાતમાં નહીં ચાલે, એક-એકને શોધીશું અને જેલમાં ધકેલીશું: ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
  • ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત બેંક લોન મંજૂરીપત્ર અપાયા
  • હવે લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા નથી ખાવા પડતા, પોલીસ લોક દરબાર યોજી પીડિતો-ફરિયાદીઓ પાસે આવે છે: શ્રી હર્ષ સંઘવી

વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધની ઝૂંબેશ અંતર્ગત વડોદરા શહેર-જિલ્લા પોલીસ દ્વારા શહેરના પંડિત દીનદયાળ હોલ ખાતે બેંક લોન મંજૂરીપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં  આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા વ્યાજખોરીના દૂષણમાંથી બચાવવા નાગરિકોને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે બેંક લોનના મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધ યુદ્ધના ધોરણે ઝૂંબેશ ચલાવવા બદલ વડોદરા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, વ્યાજખોરો માટે ગુજરાતમાં કોઈ સ્થાન નથી. વ્યાજખોરીનું દૂષણ ચલાવનારાઓ ગુજરાત બહાર જતા રહે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં આ અભિયાન હેઠળ અત્યાર સુધી ત્રણ હજાર જેટલા પરિવારોને ના તો માત્ર વ્યાજખોરીના વિષચક્રમાંથી બચાવી લેવાયા છે, પરંતુ તેને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી બેંકમાંથી લોન અપાવી પોલીસે માનવીય અભિગમ દાખવ્યો છે.

શ્રી સંઘવીએ ઉપસ્થિત લાભાર્થીઓ અને અન્ય નાગરિકો પાસેથી સંકલ્પ લેવડાવ્યા હતા કે, તેઓ ક્યારેય ડાયરીના રૂપિયા નહીં લે. વ્યાજનું દૂષણ ચલાવનાર વ્યાજખોરોની લોભામણી વાતો કે જાહેરાતોમાં ન આવવા માટે પણ તેમણે ઉપસ્થિત લોકો પાસેથી સંકલ્પ લેવડાવ્યો હતો. શ્રી સંઘવીએ મક્કમતાથી કહ્યું કે, વ્યાજખોરીનું વિષચક્ર ચલાવવામાં જે કોઈ પણ સંડોવાયેલું હશે, તેને છોડવામાં નહીં આવે. વ્યાજખોરો વિરુદ્ધ માત્ર થોડા સમય માટે નહીં, પરંતુ જીવનભર આ અભિયાન ચલાવવામાં આવે તેવી તેમણે ગુજરાત પોલીસને સૂચના આપી હતી. શ્રી સંઘવીએ કલેક્ટરશ્રી અતુલ ગોરને લાભાર્થીઓ માટે તત્પરતા, માનવીય અભિગમ અને અંગત રસ દાખવવા બદલ વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધ ચાલતા આ અભિયાનમાં પોલીસ કાર્યવાહી વિશે વિગતો આપતા શ્રી સંઘવીએ જણાવ્યું કે, છેલ્લા એક મહિનાથી ચાલતા આ અભિયાનમાં ગુજરાત પોલીસે ખૂણે-ખૂણેથી વ્યાજખોરોને પકડ્યા છે અને જેલમાં ધકેલ્યા છે.

અત્યાર સુધી ૧૩ હજારથી વધારે લોકોને અલગ-અલગ બેંક મારફત સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લોન અપાવવામાં આવી છે. અને લોનની રકમનો આંકડો રૂ. ૧૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ૩૫૦૦થી વધારે પોલીસ દ્વારા લોક દરબાર યોજાયા છે, જેમાં વ્યાજખોરીના પીડિતોએ કરેલી ફરિયાદો- રજૂઆતોને ગંભીરતાથી લઈને એક હજારથી વધારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં આ અભિયાન અંતર્ગત વડોદરા પોલીસે ત્રણ હજારથી વધારે પરિવારોને વ્યાજખોરીના દૂષણમાંથી બચાવ્યા છે અને તેમને બેંકો પાસેથી લોન મંજૂર કરાવી તેમની મદદ પણ કરી છે. વ્યાજખોરીના ગુનામાં શહેર પોલીસે પચાસ એફ.આઈ.આર નોંધી છે, પાંચ આરોપીઓને તો પાસા હેઠળ શહેર-જિલ્લા બહાર ધકેલી દેવાયા છે. અભિયાન અંતર્ગત શહેર પોલીસ દ્વારા એક મહિનામાં ૩૬ તો જિલ્લા પોલીસ દ્વારા ૩૫ લોક દરબાર યોજાયા છે.

પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘે સ્વાગત પ્રવચન કર્યું હતું. રેન્જ આઈજી શ્રી સંદીપસિંહે આભારવિધિ કરી હતી. કાર્યક્રમના અંતે ઇન્ટીગ્રેટેડ હેલ્થ મેનેજમેન્ટ સ્કીમ અંતર્ગત વજન ઓછું કરીને ફીટ થનાર શહેરના પોલીસકર્મીઓને શ્રી સંઘવીના વરદ હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. પોલીસ ભવન ખાતેના હેલ્થ, વેલનેસ એન્ડ ફિટનેસ સેન્ટરની તકતીનું પણ શ્રી સંઘવીએ મંચ પર અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુક્લા, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સર્વશ્રી મનીષા વકીલ, ચૈતન્ય દેસાઈ, ચૈતન્યસિંહ ઝાલા, પૂર્વ મેયરશ્રી ભરત ડાંગર, જિલ્લા કલેક્ટરશ્રી અતુલ ગોર, મનપા કમિશનર બંછાનિધિ પાની, અધિક પોલીસ કમિશનરશ્રી મનોજ નિનામા, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, શહેર-જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પોલીસ સ્ટાફ, એલ.ડી.એમ શ્રી સુચિત કુમાર, લાભાર્થીઓ, બેંકના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!