રાજપીપળાના વિવિધ વેપારી મંડળનું કલેકટરને આવેદન
- રાજપીપળા અંકલેશ્વરની ટ્રેનની ઝડપ વધારવા અને આગળ વધારવા અંગે આવેદન અપાયું
- આ ટ્રેનની કેવડીયાકોલોની સુધી લંબાવવામાં આવે તો મુંબઇ અને સુરતથી પણ પ્રવાસીઓ અને કેવડીયાકોલોની સુધી જવામાં સુવિધા મળે તેવી માંગ
રાજપીપળા વિવિધ વેપારી મંડળના પ્રમુખ જયેશ જે. ગાંધી તથા ઉપપ્રમુખ જતીનભાઈ સી. મઢીવાળાએ તથા સદસ્યોએ નર્મદા જિલ્લા કલેકટરને રાજપીપળા અંકલેશ્વરની ટ્રેનની ઝડપ વધારવા અને આગળ વધારવા અંગે પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના રાજપીપળા રેલ્વે સ્ટેશનથી અંકલેશ્વર જતી ટ્રેન અને અંકલેશ્વરથી રાજપીપળા આવતી ટ્રેન બ્રોડગેજ કરી છે. પરંતુ આ ટ્રેન રાજપીપળાથી અંકલેશ્વરના 70 કિ.મી.નું અંતર કાપવા માટે અઢીથી પોણા ત્રણ કલાક લગાવે છે જે ખૂબ જ વધારે છે.
સામાન્ય રીતે આ અંતર પ્રાઇવેટ ટેક્સી માત્ર દોઢ કલાક લગાવે છે. તેથી ટ્રેનની ગતિ વધારવા ખૂબ જ જરૂરી છે. કારણકે અંકલેશ્વરમાં મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે અને નોકરી ધંધાના કામે અસંખ્ય લોકોની અવરજવર થતી હોય છે. પરંતુ ટ્રેનની ઝડપ ખૂબ જ ધીમી હોવાના કારણે મુસાફરો ટ્રેનમાં જવાનું હવે પસંદ કરતા નથી માટે ટ્રેનની ઝડપ વધારવાની લોકો માંગ છે અને આ સિવાય સવારે એક જ ટ્રેન રાજપીપળાથી અંકલેશ્વર જાય છે અને સાંજે અંકલેશ્વરથી નીકળી રાજપીપળા આવે છે પણ લોકો એવી પણ માગ છે કે ટ્રેન બે ટાઈમ જવી જોઈએ.
આ આવેદન રેલ મંત્રી ભારત સરકાર નવી દિલ્હી, અધ્યક્ષ પશ્ચિમ રેલવે વિભાગ મુંબઈ, સાંસદ મનસુખભાઇ વસાવા, ગીતાબેનરાઠવા સાંસદ છોટાઉદેપુર તથા પી. ડી. વસાવા ધારાસભ્ય નાંદોદને પણ ઘટતું કરવા રજૂઆત કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)