“મહા” વાવાઝોડાની સંભાવનાને અનુલક્ષીને અધિકારીઓને વડુ મથક ન છોડવા તાકીદ
વડોદરા,
“મહા” વાવાઝોડાના પ્રભાવની શક્યતાને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ અને રાજય સરકારની સૂચના પ્રમાણે જિલ્લા પ્રશાસને સતર્કતા અને તકેદારીના જરૂરી પગલાઓ લીધા છે.
જિલ્લા પ્રશાસનના અને સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટ્સના તમામ અધિકારીઓને પરવાનગી વગર વડુંમથક ન છોડવા ખાસ તાકીદ કરવામાં આવી છે એવી માહિતી આપતા નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલીપ પટેલે જણાવ્યું કે, જરૂરિયાતના સંજોગોમાં મુશ્કેલી ના પડે એ માટે તાલુકા કક્ષાએ લોકોને આશ્રય આપી શકાય એવા સ્થાનોની યાદી નવેસરથી તૈયાર કરવામાં આવી છે અને જિલ્લા તથા તાલુકા કક્ષાએ નિયંત્રણ કક્ષો ચોવીસે કલાક કાર્યરત છે.
બચાવ અને રાહત સાથે સંકળાયેલા તમામ લાઇન ડિપાર્ટમેન્ટને તેમના કર્મચારીઓની ટીમો બનાવવા અને સાધન-સુવિધાઓની સુસજ્જતા ચકાસી લેવા જણાવાયું છે. મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા તાલુકા પ્રશાસનોને એલર્ટ કરવાની સાથે તલાટી કમ મંત્રીઓને ગ્રામ્યકક્ષાએ તકેદારીના જરૂરી પગલાઓ ભરવા આદેશ કરવામાં આવ્યો છે. તેમણે ખેડૂતો સહિત શહેર-જિલ્લાના લોકોને “મહા” વાવાઝોડાની ચેતવણીના અનુસંધાને તમામ પ્રકારે સાવચેત અને તકેદાર રહેવા અનુરોધ કર્યો છે. એન.ડી.આર.એફ.ના જરોદ મથક ખાતેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રભાવિત થવાની શકયતાવાળા જિલ્લાઓ માટે દળના જવાનોની ટૂકડીઓ મોકલવામાં આવી છે. રાહત નિયામકની કચેરી દ્વારા “મહા” સામે બચાવ અને રાહતની વ્યૂહરચનાની બાબતમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન આપવાની સાથે મ્યુનિસિપલ કમિશ્નરશ્રી નલિન ઉપાધ્યાય અને ઉચ્ચાધિકારીઓ પાસેથી જિલ્લા કક્ષાએ લેવામાં આવેલા તકેદારીના પગલાઓની જાણકારી લેવામાં આવી હતી.