લુણાવાડા ખાતે માં-અમૃત્તમ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
લુણાવાડા,
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મહિસાગર જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે પાલક માતા પિતા યોજના લાભાર્થીઓને જિલ્લા આરોગ્ય કચેરીના સહકારથી માં અમૃતમ કાર્ડ આપવાનો કેમ્પ જિલ્લા પંચાયત કચેરી લુણાવાડા ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.બી બારડના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સ્વપ્નિલ શાહની ઉપસ્થતિમાં યોજાયો. મહીસાગર જિલ્લામાં પાલક માતા પિતા યોજના અંતર્ગત છ તાલુકાઓમાં ૬૭૮ અનાથ બાળકો લાભ મેળવી રહ્યા છે તેમને સરકારની આરોગ્ય સેવાઓનો પણ નિ:શુલ્ક લાભ મળી રહે તેવા ઉમદા હેતુથી માં અમૃતમ કાર્ડ આપવા આ કેમ્પનું આયોજન થયું. જે પૈકી આજરોજ લુણાવાડા તાલુકાના ૧૬૧ અનાથ બાળકોને માં-અમૃત્તમ કાર્ડ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી.
અત્રે નોંધનીય છે કે સરકારની પાલક માતાપિતા યોજના અંતર્ગત માં બાપ વગરના અનાથ બાળકોના પાલક માતાપિતાને આ બાળકોનો સારી રીતે ઉછેર માટે સરકાર દ્વારા દર મહીને ૩૦૦૦/- DBT મારફતે સહાય આપવામાં આવે છે.
આ કેમ્પમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કે.એચ.વાણિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નિરવ પંડયા, માં અમૃતમ કાર્ડ ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ ઓફીસર સઈદ શેખ સહિત જિલ્લા બાળ સુરક્ષા એકમ નો સ્ટાફ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પાલક માતા પિતા લાભાર્થી બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા.