નાંદોદ તાલુકાના વરખડ ગામે આડા સંબંધની શંકાએ પત્નીની કરપીણ હત્યા
- રાત્રે લઘુશંકા માટે ઘરની બહાર ગયેલી પત્ની સાથે ઝઘડો કરી માથામાં કોદાળી મારી જીવલેણ હુમલો કર્યો.
નાંદોદ તાલુકાના વરખડ ગામે આડા સંબંધની શંકાએ પત્નીની કરપીણ હત્યા કરવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં, રાત્રે લઘુશંકા માટે ઘરની બહાર ગયેલી પત્ની સાથે ઝઘડો કરી પતિએ પત્નીના માથામાં કોદાળી મારી જીવલેણ હુમલો કરી પત્નીને મોતને ઘાટ ઉતારી કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે આમલેથા પોલીસ મથકે ફરિયાદી શકરીબેન બચુભાઈ વસાવા (રહે વરખડ મોટું ફળિયું )એ આરોપી જીગ્નેશભાઈ બચુભાઈ વસાવા (રહે વરખડ મોટું ફળિયું) સામે ખૂનના ગુનાની ફરિયાદ નોંધી છે.
બનાવની વિગત અનુસાર વરખડ ગામે રહેતા આરોપી જીગ્નેશભાઈ બચુભાઈ વસાવા તથા તેની પત્ની રાત્રે તેના રૂમમાં સૂતેલા હતા, ત્યારે તેની પત્ની અરુણાબેન જીગ્નેશભાઈ વસાવા ઉઠી લઘુશંકા માટે ઘરની બહાર ગઈ હતી, તેથી તેના પતિ જીગ્નેશભાઈ ને શંકા જતાં તેની સાથે ઝઘડો કરેલો અને કહેલ કે તું બહાર ક્યાં ગઈ હતી ? અને કોને જોવા ગઈ હતી ? અને કોને મળવા ગઈ હતી ? અને કોની સાથે વાતો કરવા માટે ગયેલ ? તેમ કહી આડા સંબંધની શંકા રાખી પત્નીની સાથે ઝઘડો કરી ગાળો બોલી માથામાં કોદાળી મારી ગંભીર ઈજા થતાં આજુબાજુના લોકો દોડી આવી તેને રાજપીપળા હોસ્પિટલમાં ખસેડતા જ્યાં તેનું સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. આ અંગે આમલેથા પોલીસે ખૂનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ (રાજપીપળા)