જામનગરમાં આર્થિક સંકડામણને કારણે વેપારી યુવકનો આપઘાત

- ઘરે બપોરે ઝેરી દવા ગટગટાવી યુવકે ભર્યું આત્મઘાતી પગલું
જામનગરમાં ખોજાનાકા નજીક ટીટોડી વાડી વિસ્તારમાં રહેતા એક યુવકે ઘરે જ બપોરે ઝેરી દવા પી જીવતર ટુંકાવી લીધુ હતું. મૃતક યુવાને નબળી આર્થિક પરિસ્થિતિ, લોકડાઉન બાદ આવકનો સ્ત્રોત ઓછો હોય, કંટાળી જઈ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જામનગરમાં ખોજાનાકા નજીક ટીટોડીવાડી પાછળ બંગલા વાડીમાં રહેતા શાહબાજભાઇ ઉંમરભાઇ કાસરીયા (ઉ.વ. ૨૩) નામના યુવાને ગત તા.૨૦ના રોજ બપોરે બે વાગ્યાથી સાંજે સાડા પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ બહાર આવ્યો છે. આ બનાવની મૃતકના પિતા ઉંમરભાઇ અલ્લારખાભાઇ કાસરીયાએ જાણ કરતા સીટીએ પોલીસની ટીમ દોડી ગઇ હતી.
પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ અર્થે ખસેડાયો હતો અને મૃતકના પરીજન નિવેદન નોંધ્યું હતું. મૃતકે આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને લોકડાઉન બાદ આવકનો સ્ત્રોત ઓછો હોય જેથી કંટાળી જઈ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. મૃતક અપરિણિત યુવક કપડાની દુકાન પણ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની વધુ તપાસ સીટી એ પોલીસે હાથ ધરી છે. જ્યારે અન્ય બનાવમાં જામનગર નવાગામ ઘેડમાં રહેતા બાબુભાઈ નારણજી જાડેજા નામના વૃદ્ધ પોતાની સાયકલ પર અંબર સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એકાએક ચક્કર આવતાં પડી જવાથી માથામાં ઇજા પહોંચતાં હોસ્પિટલ ખસેડાયા હતાં જ્યાં સારવારમાં મૃત્યુ થયું હતું.
– રોહિત મેરાણી (જામનગર)
