મોટા ચારોડીયા ગામના નાનાભાઈ ત્રિવેદી દ્વારા આકાશવાણી રાજકોટ કેન્દ્ર પર વિજ્ઞાનની વાતો પ્રસારીત થશે
દેશના મહાન વૈજ્ઞાનિક – આજીવન શિક્ષક મોટા ચારોડીયા ગામના નાનાભાઈ ત્રિવેદી દ્વારા આકાશવાણી રાજકોટ કેન્દ્ર પર તા.૨૨-૯ ને બુધવારે સાંજે ૫-૩૦ કલાકે વિજ્ઞાનની વાતો પ્રસારીત થશે. ભાવનગર જીલ્લાના ગારિયાધાર તાલુકાના મોટા ચારોડીયા ગામના સંનિષ્ઠ અને હંમેશા હસતા ચહેરા સાથે ૮૨ વર્ષની ઉંમરે યુવાન દેખાતા નાનાભાઈ બાલાશંકર ભાઈ ત્રિવેદીએ નાની વાવડી,પરવડી,મોરબા, વેળાવદર,અને મોટા ચારોડીયા પ્રાથમિક શાળાઓમાં ૪૦ વર્ષ શિક્ષક તરીકે ફરજ બજાવી, સરકારનાં પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવી નિવૃત્ત છતાં પ્રવૃત્ત, વિજ્ઞાન ક્ષેત્રે ૧૦૦ થી વધુ સ્વયમ પ્રયોગો કરી પોતાના નિવાસ સ્થાને સંગ્રહાલય બનાવી છેલ્લા ૪૦ વર્ષથી વિદ્યાર્થી મિત્રોને વિજ્ઞાનના પ્રયોગો અને મોડલો આપનાર રાષ્ટ્રીય વિજ્ઞાન શિક્ષક નાનાભાઈ ત્રિવેદી દ્વારા તા.૨૨-૯ ને બુધવારે સાંજના ૫-૩૦ કલાકે આકાશવાણી રાજકોટ કેન્દ્ર પરથી વિષય – “વિજ્ઞાનની વાતો” માં બાળકો માટે ખુબજ ઉપયોગી નવ (૯) જેટલા સાદા અને સરળ વિજ્ઞાનના પ્રયોગો રજૂ કરશે. આ રેડિયો કાર્યક્રમનું નિર્માણ આકાશવાણી રાજકોટ કેન્દ્રના નિર્માતા ડો.ગીતાબહેન ગીડા દ્વારા થયેલ છે. ખાસ બાળકોએ આ વિજ્ઞાનની વાતો કાર્યક્રમનું પ્રસારણ સાંભળવા જણાવેલ છે.
રિપોર્ટ અતુલ શુક્લ દામનગર.