૩૬૦થી વધુ પરપ્રાંતીયોને આશરો આપતું અમરેલી વહીવટી તંત્ર

૩૬૦થી વધુ પરપ્રાંતીયોને આશરો આપતું અમરેલી વહીવટી તંત્ર
Spread the love
  • અમરેલીના માંગવાપાળ ખાતે તૈયાર કરેલા આશ્રયઘરમાં ૧૦૦૦ થી વધુ લોકો માટે વ્યવસ્થા
  • તમામ માટે રહેવા-જમવાની વ્યવસ્થા : ગ્રામજનો અને સેવાકીય સંસ્થાઓ થકી ઉમદા કાર્ય
  • મધ્યપ્રદેશના ૨૬૪, રાજસ્થાનના ૪૧ અને ગુજરાતના ૫૬ જેટલા પરપ્રાંતીયોને આશરો આપ્યો

અમરેલી,

હાલ દેશ અને દુનિયામાં નોવેલ કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આ મહામારી સામે દરેક નાગરીકને રક્ષિત કરવા વહીવટી તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા કડક પગલાં ભરવામાં આવ્યા છે જેના અનુસંધાને ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાવાયરસને ફેલાતો અટકાવવા માટેનો સૌથી સરળ અને સચોટ ઉપાય છે કે ઘરમાં જ રહો. પરંતુ અત્યારે એવાં લોકો પણ છે જેઓ અન્ય વિસ્તારમાંથી અહીં કામની શોધમાં આવ્યા હોય ત્યારે અન્ય રાજ્યના અને અન્ય જીલ્લાના લોકો પાસે અહીંયા રહેવા માટેનો આશરો નથી.

આવા કપરા સમયે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર આવા ઘરવીહોણાં લોકોની વ્હારે આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોના સુખદ સ્વાસ્થ્યની જાળવણીની સાથોસાથ જિલ્લાના ઘર વિહોણા લોકો પ્રત્યે પણ સંવેદના દાખવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અન્ય રાજ્ય તેમજ જિલ્લાના ઘર વિનાના પરિવારોને આદર્શ નિવાસી શાળા માંગવાપાળ ખાતે આશ્રય ઘરમાં આશરો આપવામાં આવ્યો છે. અમરેલી શહેરની નજીક માંગવાપાળ ખાતે શેલ્ટર હોમની સુવિધા ઉભી કરવામાં આવી છે.

આ શેલ્ટર હોમ અર્થાત આશ્રય ઘરમાં ૧૦૦૦ લોકો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ આ શેલ્ટર હોમ ખાતે મધ્યપ્રદેશના ૨૬૪, રાજસ્થાનના ૪૧ અને ગુજરાતના ૫૬ એમ કુલ મળી ૩૬૧ જેટલા પરપ્રાંતીયોને આશ્રય આપવામાં આવ્યો છે. તેમજ આ તમામ લોકોનું આરોગ્ય વિભાગ દ્વારા તેમના ધારાધોરણ મુજબ સ્ક્રીનીંગ પણ કરવામાં આવ્યું છે. શેલ્ટર હોમમાં રહેતાં તમામ લોકોને સ્થાનિક એન.જી.ઓ દ્વારા ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે, તો માંગવાપાળ ગામના લોકો દ્વારા તમામ લોકો માટે સવારના ચા-નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા તમામ વ્યક્તિઓ માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી દિવસોમાં આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આનુસંગિક તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ઘરવિહોણા પરિવારને વહીવટી cતંત્ર દ્વારા જરૂરી તમામ સહકાર આપી આ મહામારીના સમયમાં રાજ્ય સરકારની સંવેદનશીલતા અને ઋજુતા સાચા અર્થમાં ઉજાગર થઈ રહી છે. ત્યારે જો જિલ્લા પ્રશાસન દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવતા હોય તો ત્યારે ચાલો આપણે પણ જિલ્લાવાસી તરીકેની ફરજ બજાવીએ વહીવટી તંત્રને સહકાર આપીએ અને લોકડાઉન દરમિયાન ઘરમાં જ રહીને કોરોનાને ફેલાતો અટકાવીએ.

શેલ્ટર હોમ એટલે શું ?

શેલ્ટર હોમ નિરાશ્રીતો માટેનો સુરક્ષિત આશરો છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો શેલ્ટર હોમ એટલે આશ્રિત ગૃહ કે, જ્યાં નિરાશ્રિતોને આશરો આપવામાં આવે છે. અહીં ઘરવિહોણા પરિવારોને પ્રાથમિક જરૂરિયાતો પૈકી રહેવા માટે જગ્યા, ભોજન, શુદ્ધ પાણી તેમજ આરોગ્ય સહિતની સગવડો પુરી પાડવામાં આવે છે. આ પ્રકારના શેલ્ટર હોમમાં આશ્રિત પરિવારોને સુરક્ષા સાથે જમવાની સંપૂર્ણ સુવિધા જેમકે, સવારે ચા નાસ્તો તેમજ ભોજનની સગવડ પણ આપવામાં આવે છે. આનુસંગિક તમામ સુવિધા સાથે સુસજ્જ શેલ્ટર હોમ નિરાશ્રીતો માટેનો સુરક્ષિત આશરો છે.

આલેખન: રાધિકા વ્યાસ, સુમિત ગોહિલ
તસ્વીર: મધુસુદન ધડુક

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200328-WA0039-0.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!