અમદાવાદ-દિલ્હી વચ્ચે ૨૬ જાન્યુઆરી સુધી રેલવે પાર્સલ સેવા બંધ
અમદાવાદ,
૨૬ જાન્યુઆરીને લઈ દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ધાર્મિક સ્થળ જાહેર સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યારે દિલ્હીની પાર્સલ સેવાની પણ બંધ કરવામાં આવી છે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનીથી રોજના ૨૦ થી ૨૨ ટન પાર્સલ દિલ્હી જાય છે. સેવા બંધ થતાં આગામી ત્રણ દિવસ સુધી પાર્સલ દિલ્હી નહીં જાય. એટલું જ નહીં દિલ્હીથી આવતા પાર્સલોની સેવા પણ બંધ રાખવામાં આવી છે. સુરક્ષાને કારણે પાર્સલ સેવા બંધ છે.
જાકે, ૨૪ થી ૨૬ જાન્યુઆરીના પાર્સલ પહેલાથી જ બુક કરવામાં આવ્યા નથી. ત્રણ દિવસ પાર્સલ બુકિંગની સેવા પણ બંધ રહેશે. નોંધનીય છે કે રેલવેમાં તમામ પ્રકારના પાર્સલ જતા હોય છે. આથી વેપારીઓને પણ પાર્સલ સેવા બંધની જાણ કરી દેવામાં આવી છે. ૨૪થી ૨૬ દરમિયાન દવા, કપડાં, શાકભાજી, તેલ, ઘરવખરી સહિત તમામ પાર્સલ બંધ કરવામાં આવ્યા છે.
એટલું જ નહીં ઇમરજન્સી પાર્સલ પણ ૨૬ જાન્યુઆરી સુધી દિલ્હી નહીં મોકલાય. સુરક્ષાને ધ્યાને રાખી રેલવે મંત્રાલય દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કારણ કે પાર્સલમાં કોઈ પણ વસ્તુ મોકલી શકે છે, એટલું જ નહીં પાર્સલ પેકિંગ થયા બાદ ખોલીને ચેક કરી શકાતું નથી. જેનો ગેરલાભ લઈ કોઈ ઘટના ન બને તે માટે પાર્સલ સેવા જ બંધ કરવામાં આવી છે.