નાયબ મુખ્યમંત્રી હસ્તે શિનોર તાલુકા સેવા સદનનું લોકાર્પણ
વડોદરા,
રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે વડોદરા જિલ્લાના શિનોર ખાતે લોકસુવિધામાં ઉમેરો કરતું રૂ. ૦૬.૬૦ કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા સેવા સદનનું લોકાર્પણ અને વાઘોડિયા ખાતે રૂ.૨.૨૫ કરોડના આકાર પામનાર અદ્યતન એસ.ટી.બસ સ્ટેન્ડનું ખાત મુહૂર્ત/તખતી અનાવરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના આ પ્રકલ્પોથી આંતરમાળખા અને લોક સુવિધા વિકસાવવામાં એક નવો વેગ મળશે.
આ પ્રંસગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસના શાસનકાળમાં જનતાના ટેક્સના પૈસાની ખુલ્લી લૂંટ ચાલતી હતી. ભષ્ટ્રાચારીઓ માટે સરકારની તિજોરીઓના બારણા ખૂલ્લા હતા. દુષ્કાળ જેવી કપરી સ્થિતિમાં પણ ટેન્કરથી પાણી વિતરણમાં પણ ખૂબ મોટો ભષ્ટ્રાચાર થતો હતો. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રજાના વિકાસ અને લોક કલ્યાણના અનેક કર્યો કરી અને સુચારૂ નાણાંકીય વ્યવસ્થાપન પૂરુ પાડી ગુજરાતને સમૃદ્ધિની નવી ઉંચાઈએ પહોચાડ્યું છે. પ્રવર્તમાન સમયમાં રાજ્ય સરકારનું બજેટ ૦૨ લાખ ૦૪ હજાર કરોડના સુધી પહોચ્યું છે. તેમાથી આજે રોડ-રસ્તા, આરોગ્ય, વીજળી, નર્મદા યોજના, ઓવરબ્રીજ સહિતના અનેક અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ રાજ્ય સરકારના પારદર્શક અને પ્રમાણિક વહીવટના કારણે આ સંભવ બન્યું છે.
નાગરિકતા કાયદા અંગે શ્રી પટેલે જણાવ્યુ કે, સીએએ કાયદા અંગે સામાન્ય વ્યક્તિને પણ સમજમાં આવે તેવા મુદ્દે કોંગ્રેસીઓ, સામ્યવાદીઓ અને કંટ્ટરપંથીઓએ દેશભરમાં કાળરોળ મચાવી છે.સીએએનો કાયદોથી દેશના કોઈ પણ નાગરિકની છીનવાતી નથી. પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશથી ધાર્મિક રીતે ઉત્પડીત શરણાર્થીઓને નાગરિકા આપે છે. વર્ષોની કોંગ્રેસની વોટબેંકની રાજનીતિના કારણે હિન્દુ, શીખ, ખ્રિસ્તી વગેરે શરણાર્થીઓ નાગરિકતા વિહોણા હતા. ત્યારે કેન્દ્ર સરકાર, વડાપ્રધાન શ્રી મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહએ ૧૯૪૭માં દેશના ભાગલાં વખતે પાકિસ્તાનમાં રહેલા અને લૂંટ, હિંસા અને બળાત્કાર ભોગ બનેલા તેમજ પોતાની ધન સંપત્તિ છોડીને ઈજ્જત આબરૂ બચાવવા માટે શર્ણાર્થી બનીને ભારત આવેલા હિન્દુ, શીખ, ખ્રિસ્તિ વગેરેને નાગરિકતા આપવની છે.
પ્રધાનમંત્રી શ્રી મોદી અને ગૃહમંત્રી શ્રી શાહે વારંવાર સીએએના કાયદા અંગે સ્પષ્ટતા કરી છે કે, સીએએનો કાયદો દેશના નાગરિકોને પ્રભાવિત કરતો નથી છતા કેટલાંક તત્વો રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયત્નો કરી રહ્યા છે. આ તકે નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉપસ્થિત સૌ કોઈને સીએએ કાયદાને પ્રતિજ્ઞાપૂર્વક સમર્થન કરવા અપીલ કરી હતી.
કોંગ્રેસની વોટબેંક પ્રેરિત રાજનીતિના કારણે દેશને ઘણું સહન કરવું પડ્યું છે. કોંગ્રેસે ગુજરાત અને દેશમાં ઘણા વર્ષો સુધી શાસન કર્યું છે. આ શાસનકાળ દરમિયાન મતોના રાજકારણ માટે અનેકાનેક બાંગ્લાદેશીઓને રાશનકાર્ડ સહિતના લાભ આપ્યા. ત્યારે જો હિન્દુ, શીખ, ખ્રિસ્તીઓને નાગરિકાતા આપવામાં આવશે તો ધર્મ વિશેષના લોકો તેમનાથી રિસાઈ જશે તેવા ભયના લીધે કોંગ્રેસ ખોટી કાગરોળ મચાવી રહી છે.
રાજ્ય સરકારે કેવડીયા ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનીટી એન.આર.આઈ. સહિતના પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ બની ગયું છે. એક દિવસમાં સરેરાશ ૧૫૦૦૦ પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. તેમજ તહેવારોના દિવસોમાં તો આંક ૨૫૦૦૦ થી ૩૦૦૦૦ હજારે પહોંચી જાય છે. આમ પ્રવાસનને એક નવો વેગ મળ્યો છે. તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યુ કે, એક સમયે ગરીબ-મધ્યમવર્ગીય પરિવારનો કોઈ સભ્ય બિમાર પડે તો કુંટુંબ આખુ આર્થિક રીતે બિમાર પડી જતું. સારવાર માટે ઘરેણા-દાગીના ગીરો મુકીને દેવુ કરવું પડતું હતું ત્યારે રાજ્ય સરકારની માં-અમૃત્તમ- માં વાત્સલ્ય જેવા યોજના અમલમાં મૂકૂી અદ્યતન હોસ્પિટલમાં કેન્સર સહિતની બિમારીથી પડીત દર્દીઓને ખિસ્સાનો એક પણ રૂપિયો ખર્ચયા વગર નિ:શુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવી છે. આ સારવાર પેટે રાજ્ય સરકારે એક વર્ષમાં ૧૩૭૫ કરોડ જેટલી માતબર રકમ ચૂકવી આપી છે.
આ પ્રસંગે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા જણાવ્યું કે, શિનોર તાલુકો ઘણો નસીબદાર છે એક માસ પૂર્વે તાલુકા પંચાયતની કચેરી મળી હતી. ત્યારે આજે તાલુકા સેવા સદન તરીકે આ વિસ્તારના નાગરિકોને એક નવી ભેટ મળી છે. રાજ્ય સરકારે વર્ષો પુરાણી અને જર્જરિત હાલતમાં રહેલી કચેરીઓને સમગ્ર ગુજરાતમાં અદ્યતન બનાવી છે. તેમજ રોડ-રસ્તા ગટર જેવી અનેક પાયારૂપ સુવિધા વિકસાવી છે. તેમજ તેમણે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લા માટે ખૂબ મહત્વનો રૂા. ૨૫૦ ખર્ચે નિર્માણ ઓરસંગ-માલસર બ્રિજને બનાવવાની માગને સંતોષવા બદલ આભાર માન્યો હતો.
આ અસવરે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે ગોપી સંખી મંડળને રૂ.૦૫ લાખનો, વિટોજ સખી મંડળને ૪.૯૦ લાખના, યાચીસ્તીયા સખી મંડળને રૂ. ૨.૫૦ લાખના સહાયના ચેક વિતરણ કરાવમાં આવ્યા હતા. ઉપરાંત કૃષિ લોન, વિધવા સહાય, વયવંદના, ટ્રક્ટર સબસીડી સહિતના લાભાર્થીઓને સહાયના ચેક અને હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ તકે શિનોર તાલુકાના સરપંચ સંઘ અને એપીએમસી-શિનોરના હોદ્દેદારો દ્વારા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન અધિક્ષક ઈજનેર શ્રી આર.કે. દેલવાડીયાએ અને આભારવિધિ પ્રાંત અધિકારીશ્રીએ કરી હતી. આ અવસરે સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ, કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી, વડોદરા ગ્રામ્ય પોલીસ વડા શ્રી સુધીર દેસાઈ, કાર્યપાલક ઈજનેર શ્રી આર. પટેલ મામલતદાર શ્રી જય પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચ ઉન્નતિબેન વસાવા અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.