જીએમઇઆરએસ ગોત્રી વડોદરા ખાતે આરોગ્યલક્ષી સુવિધાઓ માટે શ્રીમતી રંજનબેન ભટ્ટે રૂ.૧ કરોડનું અનુદાન ફાળવ્યું
વડોદરા,
કોરોના (કોવીડ-૨૦૧૯)ના પગલે કેન્દ્ર-રાજય સરકાર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. આરોગ્યલક્ષી સુવિધાઓમાં ઉમેરો કરવાના ઉદ્દેશ્ય સાથે વડોદરા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે અનુદાન ફાળવી પહેલ કરી છે.
શ્રીમતી રંજનબેન ભટ્ટે, જીએમઇઆરએસ ગોત્રી વડોદરા ખાતે વેન્ટીલેટર અને અન્ય આરોગ્યલક્ષી સુવિધાઓ બાબતે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ અંતર્ગત રૂ.૧ કરોડનું અનુદાન ફાળવ્યું છે. વડોદરા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલને અનુદાનની આ રકમ ફાળવતા તેમણે જણાવ્યું કે, નાગરિકોને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકે અને તાત્કાલિક સારવાર મળે તે માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા આરોગ્યતંત્ર સતત કાર્યરત છે ત્યારે ગોત્રી સ્થિત જીએમઇઆરએસ ખાતે વેન્ટીલેટર અને અન્ય આરોગ્યલક્ષી સુવિધાઓના ભાગરૂપે આઇસોલેશન વોર્ડનું નિર્માણ કરવામાં આ અનુદાન લોકસેવા માટે ઉપયોગી નીવડશે.
તેમણે કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલને આ અનુદાનની રકમ સોંપતા કહ્યું કે, નાગરિકોની સુખાકારી માટે તેઓ તત્પર છે. હજુ પણ કોઇપણ પ્રકારની આવશ્યકતા હોય તો તેઓ સહાય કરશે તેવી ખાતરી તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.આર. પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ટીલાવત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.